Amreli: જિલ્લામાં વરસાદી માહોલ યથાવત, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા સ્વરુપે વરસાદ વરસ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
Amreli: અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ (Monsoon 2022) યથાવત જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા સ્વરુપે વરસાદ વરસ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે જ વીજપડી, છાપરી, ડેડકડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે અમરેલીના જાફરાબાદ બંદર પર એલર્ટ આપવામાં આવ્યું છે. આ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી દિવસો દરમિયાન વરસાદ તેમજ પવનની ગતિ વધવાની શક્યતાઓ છે. જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે, જેને કારણે આગામી 5 જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે. અને રાજ્યમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઇ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને હળવો વરસાદ પડશે.