અમરેલી : સાવરકુંડલાના ગોરડકા ગામમાં જંગલી જનાવરે બાળકીને ફાડી ખાધી, વનવિભાગનું સિંહે હુમલો કર્યાનું તારણ
સાવરકુંડલાના ગોરડકા ગામમાં સાદુળભાઈ ચાંદુની વાડીમાં ખેતમજૂર પરિવાર ઊંઘી રહ્યો હતો.પરિવારની સાથે 7 થી 8 વર્ષની બાળકી પણ ઊંઘી રહી હતી, પરંતુ, પરિવારજનો જ્યારે સવાર ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હતી.
અમરેલીના સાવરકુંડલા પંથકમાં સિંહનો આતંક જોવા મળ્યો. સાવરકુંડલાના ગોરકડા ગામે સિંહે હુમલો કરતા 8 વર્ષની પરપ્રાંતીય બાળકીનું મોત થયું છે. વાડીના ઝૂંપડામાં બાળકી પરિવાર સાથે સૂતી હતી. તે દરમિયાન સિંહ ધસી આવ્યો. સિંહ બાળકીને પકડીને દૂર સુધી લઈ ગયો અને તેના પર હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધી. તે સમયે પરિવાર સૂતો હતો. બાળકીના સ્વજનો જાગે તે પહેલાં જ બાળકીનું મોત થઈ ગયું. જ્યારે બાળકીના પરિવારજનોને તેની જાણ થઈ તો તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ.. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભય સાથે આક્રોશનો માહોલ છે. ઘટનાને લઈ સાવરકુંડલા વનવિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
અમરેલી જિલ્લામાં સામાન્ય રીતે દીપડાના હુમલાની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પરંતુ, સિંહના હુમલાની ઘટના ભાગ્યે જ જોવા મળે છે. સાવરકુંડલાના ગોરડકા ગામમાં ગતરાત્રિએ એક જંગલીએ પ્રાણીએ એક બાળકીને ફાડી ખાધાનો બનાવ સામે આવ્યો છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં જંગલી પ્રાણી સિંહ હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. વનવિભાગ દ્વારા પાંજરા મુકી જંગલી પ્રાણીને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
સાવરકુંડલાના ગોરડકા ગામમાં સાદુળભાઈ ચાંદુની વાડીમાં ખેતમજૂર પરિવાર ઊંઘી રહ્યો હતો.પરિવારની સાથે 7 થી 8 વર્ષની બાળકી પણ ઊંઘી રહી હતી, પરંતુ, પરિવારજનો જ્યારે સવાર ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હતી. જેથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરતા નજીકના વિસ્તારમાંથી બાળકીની લાશ મળી હતી.
બાળકી પરિવારજનોની સાથે જ ઊંઘી રહી હતી. પરંતુ, જંગલી પ્રાણી બાળકીને ઢસડીને લઈ ગયું હોવા છતા પરિવારજનો અજાણ રહ્યા હતા. પરિવારજનો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે બાળકી ગાયબ હોવાથી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં પરિવારજનોને બાળકીની લાશના ટુકડાઓ મળી આવ્યા હતા.