અમદાવાદમાં બેકાબુ રોગચાળો, મચ્છરજન્ય રોગચાળાને ડામવામાં AMC નિષ્ફળ
અમદાવાદ શહેરમાં ગતવર્ષ કરતા વધુ રોગચાળો વકર્યો છે અને તેના પૂરાવે રોગચાળાના કેસના આંકડા આપી રહ્યા છે. વર્ષ 2021 પૂરૂ થવામાં હજુ 1 મહિનાથી પણ વધુ સમય બાકી છે તેમ છતા રોગ બેકાબૂ બન્યાના આંકડા ચોંકાવનારા છે.
અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે. ચોમાસા બાદ પણ મચ્છરજન્ય રોગ પર કાબૂ મેળવવામાં AMCને સફળતા મળી નથી. નવેમ્બર મહિનાની જ વાત કરીએ તો ડેન્ગ્યુના 273 કેસ સામે આવ્યા છે. ચિકનગુનિયાના 191 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ મેલેરિયાના 82 કેસ નોંધવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલા તળાવોની સફાઈ કરવામાં આવી રહી છે.
બીજી તરફ 2 હજારથી વધુ કન્સ્ટ્રકશન સાઈટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. હાલ અમદાવાદમાં ન્યુશન્સ અને ક્યુલેક્સ પ્રકારના મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રોગચાળાના આટલા કેસ આવ્યા હોવા છતા કોર્પોરેશનનો દાવો છે કે, ત્રણ મહિનાની સરખામણીમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતા કોર્પોરેશનની ટીમ દ્વારા ફોગિંગ અને સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ગતવર્ષ કરતા વધુ રોગચાળો વકર્યો છે અને તેના પૂરાવે રોગચાળાના કેસના આંકડા આપી રહ્યા છે. વર્ષ 2021 પૂરૂ થવામાં હજુ 1 મહિનાથી પણ વધુ સમય બાકી છે તેમ છતા રોગ બેકાબૂ બન્યાના આંકડા ચોંકાવનારા છે. વર્ષ 2020માં ડેન્ગ્યુના 432 કેસ નોંધવામાં આવ્યા હતા. તો બીજી તરફ 2021માં ડેન્ગ્યુના 2,809 કેસ નોંધાયા છે. 2020માં ચિકનગુનિયાના 923 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 2021માં ચિકનગુનિયાના 1498 કેસ નોંધાયા છે. વર્ષ 2020માં મેલેરિયાના 682 કેસ નોંધાયા હતા તો વર્ષ 2021માં મેલેરિયાના 1050 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો : અમદાવાદ : કાલુપુરમાં સોનાની વી.સી.સ્કિમના બહાને કરોડોની ઠગાઇ કરનાર શખ્સ ઝડપાયો, કેવી રીતે રચ્યો છેતરપિંડીનો ખેલ ?