શું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભરતી વિવાદ સિનિયર સિન્ડીકેટ મેમ્બરોનો ભોગ લેશે ? તપાસ કમિટીએ એકઠા કર્યા ભરતી અંગેના દસ્તાવેજો
આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં યુજીસીની 2018 પહેલાના પરિપત્રને ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે જે મુજબ ઉમેદવારના 60 માર્કસ મેરીટ આધારીત જ્યારે 40 માર્કસ ઇન્ટર્નલ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. જે અયોગ્ય છે.વાસ્તવમાં 2018ના પરીપત્ર પ્રમાણે કોઇપણ પ્રોફેસરની ભરતી મેરીટ આધારીત જ કરવાની હોય છે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજીકના કહેવાતા સિનીયર સિન્ડીકેટ મેમ્બરો પર તવાઇ, ભૂતકાળમાં કોઇ દિવસ આટલી ઝડપથી ગાંધીનગરથી તપાસ ટીમ આવી નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારીત પ્રોફેસરોની ભરતી કૌંભાડમાં રાજ્ય સરકાર “અંગત” રસ લઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે પરંતુ ક્યારેય આટલી ઝડપથી રાજ્ય સરકારે તપાસ કમિટી એક જ દિવસમાં મોકલી નથી.જો કે યુનિવર્સિટીમાં ભાજપના જ સિન્ડીકેટ સભ્યોની દરમિયાનગીરી સામે ભાજપ સરકારે લીધેલા પગલાંથી સૌ કોઇ આશ્ચર્યચક્તિ થઇ ગયા છે.સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જે સિન્ડીકેટ સભ્યોની ચેટના સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે તે તમામ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નજીકના કહેવામાં આવે છે ત્યારે આ વિવાદમાં યુનિવર્સિટી પૂરતો સિમીત ન રહેતા કમલમ્ સુધી પહોંચ્યોં હોવાનું માનવામાં આવી રહ્યું છે.ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે યુનિવર્સિટીનું આભરતી વિવાદ સિનીયર સિન્ડીકેટ સભ્યો પાસેથી તેનું પદ પણ છીનવી શકે છે.
તપાસ કમિટીએ એકઠા કર્યા ભરતી અંગેના દસ્તાવેજો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારીત પ્રોફેસરોની ભરતીના વિવાદને લઇને આજે શિક્ષણ વિભાગ દ્રારા એક ટીમને યુનિવર્સિટી ખાતે મોકલવામાં આવી હતી.આ ટીમ દ્રારા યુનિવર્સિટીના કુલપતિ,પાંચ ભવનના ડીન અને તમામ 28 જેટલા ભવનના એચઓડીને સાંભળવવામાં આવ્યા હતા અને તેની પાસેથી ભરતી પ્રક્રિયાને લઇને નિવેદનો લેવામાં આવ્યા હતા.આ ટીમ દ્રારા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અને મહેલમ વિભાગ પાસેથી ભરતી પ્રક્રિયા કઇ રીતે પુુરી કરવામાં આવી તેની માહિતી પણ મેળવવામાં આવી હતી.આ ટીમના તપાસ અધિકારી એ.એસ.રાઠોડના કહેવા પ્રમાણે રાજ્ય સરકારની સૂચના અનુસાર ભરતી પ્રક્રિયાના તમામ દસ્તાવેજો એકત્ર કરવામાં આવ્યા છે તે સરકારને સોંપવામાં આવશે અને આ અંગે સરકાર દ્રારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
જો કે આ ભરતીમાં યુનિવર્સિટી દ્રારા સગાંવાદ ચલાવવા માટે નિયમોને નેવે મૂકવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે
યુજીસીના નિયમોનું ઉલ્લંઘન
આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં યુજીસીની 2018 પહેલાના પરિપત્રને ગ્રાહ્ય રાખવામાં આવ્યો છે જે મુજબ ઉમેદવારના 60 માર્કસ મેરીટ આધારીત જ્યારે 40 માર્કસ ઇન્ટર્નલ ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા જે અયોગ્ય છે.વાસ્તવમાં 2018ના પરીપત્ર પ્રમાણે કોઇપણ પ્રોફેસરની ભરતી મેરીટ આધારીત જ કરવાની હોય છે અને ગુજરાતની અન્ય યુનિવર્સિટી આ જ રીતે ભરતી કરે છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ નિયમોનું પાલન કેમ ન કર્યું
ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં પણ લાલિયાવાડી
યુજીસીના નિયમ પ્રમાણે જો કોઇ ફેકલ્ટીમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હોય તો તેમાં જેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે તેમાંથી વધારે મેરિટવાળા 6 જેટલા ઉમેદવારોને આખરી ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવતા હોય છે જ્યારે આ ઇન્ટરવ્યુમાં દરેક ઉમેદવારને બોલાવવામાં આવ્યા હતા જેમાં જે માનીતા હતા તેમને ઇન્ટર્નલ માર્કસ વધારે આપીને તેની પસંદગી ઉતારવામાં આવી હતી.
રાજ્ય સરકારના પરિપત્ર વિરુધ્ધ પગાર વધારો કરાર આધારીત પ્રોફેસરોની ભરતી અંગે રાજ્ય સરકારનો પરીપત્ર છે જેમાં કોઇપણ પ્રોફેસરને મહત્તમ 25 હજાર રૂપિયા પગાર આપી શકાય છે પરંતુ આ ભરતી પ્રક્રિયામા ં15 હજારથી લઇને 60 હજાર રૂપિયા સુધીનો પગાર મંજૂર કરવામાં આવ્યો છે જેની ચૂકવણી રાજ્ય સરકાર કરતી હોય છે ત્યારે યુનિવર્સિટી દ્રારા ક્યાં આધારે આ પગાર વધારો કર્યો તે એક સવાલ છે.
આ અંગે કોંગ્રેંસના નેતા નિદત બારોટે યુનિવર્સિટી સામે સવાલો ઉભા કર્યા છે અને તટસ્થ તપાસની માંગ કરી છે.ઉપરની તમામ માહિતી નિદત બારોટદ્રારા જાહેર કરવામાં આવી છે અને આ અંગે સરકાર દખલગિરી કરીને એકશન લે તેવી પણ માંગ કરવામાં આવી છે.
વીસી-પીવીસીએ આંખ આડા કાન કર્યા ? જે વોટ્સઅપ ગ્રુપના સ્ક્રિનશોટ્સ વાયરલ થયા છે તે ગ્રુપનું નામ બીજેપી સિન્ડીકેટ 21-24 ગ્રુપ છે અને તેમાં ભાજપના સિન્ડીકેટ મેમ્બરો અને તેની સાથે કુલપતિ ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી પણ આ ગ્રુપમાં શામેલ હતા જો તે તેમ છતાં તેમના દ્રારા જ્યારે આ નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે આઁખ આડા કાન કરવામાં આવ્યા.નામો પર સિન્ડીકેટ સભ્યો અંતિમ મ્હોર લગાવી રહ્યા હતા ત્યારે કુલપતિ મુકપ્રેક્ષકની જેમ જોઇ રહ્યા હતા જેનો મતલબ છે કે તેઓની સંમતિથી જ આ ચર્ચાઓ થઇ રહી હતી અને તેઓ આંખ આડા કાન કરી રહ્યા હતા..
સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે યુનિવર્સિટીના આ ભરતી વિવાદમાં ભાજપનો જ જુથવાદ સામે આવી રહ્યો છે.કેટલાક એવા મુદ્દાઓ છે જેના કાર આ વિવાદ ભાજપનો આંતરિક જુથવાદ બહાર આવ્યો છે.અત્યાર સુધીમાં અનેક વિવાદો સામે આવ્યા પરંતુ શિક્ષણ વિભાગ દ્રારા આટલી ઝડપથી કોઇ તપાસ શરૂ કરવામાં આવી નથી.