Surat : આવતીકાલથી ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ, સુરતમાં શાળાઓ કરાઈ સૅનેટાઇઝ.
સુરતમાં સોમવારથી શાળાઓ શરૂ થાય તે પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે શાળાઓ શરૂ કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સૌથી પહેલા ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. કોરોના ના કેસોની સંખ્યા હવે ઘટી રહી છે ત્યારે હવે શાળાઓ પણ પૂર્વવત કરાય તેવી માંગણી કરવામાં આવી હતી.
શાળા સંચાલકો અને વાલીઓની આ માંગણીને ધ્યાનમાં રાખીને હવે ધોરણ 12 બાદ હવે ધોરણ 9થી 11ના વર્ગો શરૂ કરી દેવા સરકારે પરવાનગી આપી છે. જોકે હજી શાળાએ બાળકને મોકલવો કે નહીં તે નિર્ણય વાલી પર છોડવામાં આવ્યો છે. શાળા સંચાલકો પણ વાલીઓની સંમતિ બાદ જ વિદ્યાર્થીને પ્રવેશ આપશે.
સુરતના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી કે ત્રીજી લહેરના ડરે શાળાઓ બંધ રાખી શકાય નહિ કારણ કે દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના ભણતર પર મોટી અસર પડી છે. ધોરણ 9 થી 11ના વર્ગો પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેટલું જ મહત્વ રાખે છે જેટલું ધોરણ 10 અને 12. જયારે જિમ, રેસ્ટોરન્ટ,હરવા ફરવાના સ્થળ, થિયેટર તમામને મંજૂરી આપવામાં આવી છે તો પછી શાળાઓ માટે અનદેખી કેમ ? વાલીઓ પણ માની રહ્યા હતા કે ઓનલાઇન અભ્યાસમાં વિદ્યાર્થીઓનો અભ્યાસનો બેઝ કાચો રહી જતો હોવાથી તેમના અભ્યાસ પર મોટી અસર પડી છે જેથી વાલીઓ પણ શાળા શરૂ કરવાની તરફેણમાં હતા.
જોકે સોમવારથી શાળાઓ શરૂ થાય તે પહેલા શાળા સંચાલકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અડાજણ વિસ્તારમાં આવેલી પ્રેસિડન્સી શાળાના આચાર્ય દીપિકા શુક્લએ જણાવ્યું હતું કે ટ્યુશન ક્લાસીસ કે અન્ય જગ્યા કરતા સૌથી સારી રીતે કોરોનાની ગાઈડલાઇનનું પાલન શાળાઓ કરાવી શકે છે. અમે શાળા શરૂ થાય તે પહેલા તૈયારી કરી લીધી છે. અમે શાળામાં સેનિટાઇઝ કરી દીધું છે. એક વર્ગમાં ઝીગ ઝેગ પદ્ધતિથી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસીંગ નું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. રીસેસ રાખવામાં નહિ આવે.
વિદ્યાર્થીઓની વચ્ચે અંતર રહે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. આમ શાળા સંચાલકો દ્વારા શાળાઓ શરૂ કરવાની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી વિદ્યાર્થીઓના બગડેલા અભ્યાસને હવે ફરી એકવાર પાટા પર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.