Monsoon 2021 : ચોમાસાને લઈને હવામાન વિભાગે શુ કરી આગાહી ? કેમ અટક્યુ છે ચોમાસુ ?
Southwest monsoon 2021 : વરસાદ નહી વરસવાને કારણે ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો ફરી ઉચકાઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 36 ડીગ્રીને પાર થઈ ગયો છે.
Southwest monsoon 2021 : ગુજરાત સહીત ઉતર પશ્ચિમ ભારતમાં નૈઋત્યનુ ચોમાસુ સ્થિર થઈ ગયુ છે. આગામી એક સપ્તાહ સુધી સમગ્ર ઉતર પશ્ચિમ ભારતમાં નૈઋત્યનુ ચોમાસુ ( Southwest monsoon )આગળ વધવાના કે વરસાદ વરસવાની કોઈ સંભાવના ના હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સારા અને સાર્વત્રિક વરસાદ માટે, જો વાતાવરણ અનુકુળ રહ્યુ તો જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ છે.
ભારતીય હવામાન વિભાગે પહેલા જાહેર કર્યુ હતું કે, દેશના વિભિન્ન રાજ્યોમાં ચોમાસુ સમયસર બેસી જશે અને સારો વરસાદ વરસશે. પરતુ ચોમાસાને આગળ વધવા માટે અનુકુળ વાતાવરણ નહી સર્જાતા, હાલ ચોમાસુ સ્થિર થઈ જવા પામ્યુ છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં હાલમાં વરસાદની માત્રા, રાષ્ટ્રીયસ્તરે નહીવત રહેવા પામી છે.
ચોમાસાનો સારો વરસાદ વરસવા માટે જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ દેશના પૂર્વોતર અને કોંકણ ગોવાના દરિયાઈ વિસ્તાર સિવાય અન્ય ભાગમાં વરસાદની માત્રા નહીવત રહેવા પામશે. જો કે મધ્ય ભારતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગનું કહેવુ છે.
દેશના ઉતર પશ્ચિમ ભાગમાં નૈઋત્યનું ચોમાસાનુ ( Southwest monsoon ) રાજસ્થાન, ઉતર પ્રદેશ અને પંજાબના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યુ નથી. બાડમેર, ભાલવાડા, ઘૌલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરમાં વિધીવત્ત રીતે ચોમાસાનો વરસાદ વરસવાનો બાકી છે. હાલ ચોમાસુ આગળ ઘપે તે વરસાદ વરસે તેવી કોઈ વરસાદી સિસ્ટમ આકાર પામી નથી. આ ઉપરાંત, પવનની દિશા બદલાતા અને સાયક્લોનિક સરક્યુલેશનના કારણે, હાલ ચોમાસુ સ્થગિત થઈ જતા ખાસ કરીને ખેડૂત વર્ગ ચિંતામા મૂકાયો છે.
વરસાદ નહી વરસવાને કારણે ગુજરાત સહીત વિવિધ રાજ્યોમાં તાપમાનનો પારો ફરી ઉચકાઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 36 ડીગ્રીને પાર થઈ ગયો છે. ભેજના પ્રમાણ અને ગરમીને કારણે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે.
ભારતીય હવામાન વિભાગે આ વર્ષે કરેલ આગાહીથી ત્રણ દિવસ ચોમાસુ મોડુ બેઠુ હતું. તો અરબી સમુદ્રમાં વાવાઝોડુ તાઉ તે અને બંગાળની ખાડીમાં ઉદભવેલ વાવાઝોડા યાસને કારણે દેશના કેટલાક ભાગમાં ચોમાસાનું સમયપત્રક ખોરવાયુ હોવાનું કહેવાય છે. તો કેટલાક હવામાનશાસ્તીઓનું કહેવુ છે કે, હિંદ મહાસાગરમાં લા નીનોની જે ગતીવિધી છે તેની અસર ચોમાસા ઉપર પણ જોવા મળી રહી છે.