Ahmedabad: ઉનાળાની ગરમી વધવા સાથે પાણીજન્ય રોગચાળો ફેલાયો, ઝાડા-ઉલટીના કેસમાં 8 ગણો વધારો
અમદાવાદમાં (Ahmedabad) ઉનાળાની ગરમી વધવા સાથે જ પાણીજન્ય રોગચાળો (Epidemic) માથુ ઉંચકી રહ્યો છે. ગત વર્ષે એપ્રિલ માસની સરખામણી કરીએ તો ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસમાં 8 ગણો વધારો નોંધાયો છે.
ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer) કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ગરમીના પગલે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં (Ahmedabad) હાલ ગરમી અને પાણીના કારણે થતા રોગચાળાએ માઝા મુકી છે.
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો
અમદાવાદમાં ઉનાળાની ગરમી વધવા સાથે જ પાણીજન્ય રોગચાળો માથુ ઉંચકી રહ્યો છે. ગત વર્ષે એપ્રિલ માસની સરખામણી કરીએ તો ચાલુ વર્ષે ઝાડા-ઉલટીના કેસમાં 8 ગણો વધારો નોંધાયો છે. અમદાવાદમાં ઝાડા-ઉલટીના 843 દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. રોગચાળાને પગલે મ્યુનિસિપિલ હેલ્થ વિભાગે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 3900થી વધુ પાણીના સેમ્પલ લીધા છે. જે પૈકી 231 જેટલા અનફિટ જાહેર થયા છે.
એપ્રિલ માસમાં બાળકોમાં ઝાડા અને પાણી ઘટી જવાના કેસોનું પ્રમાણ વધ્યું છે. મે માસની શરુઆતમા પણ આ કેસ વધી રહ્યા છે. ગરમીનું પ્રમાણ વધતા બાળકોના શરીરમાં એકાએક પાણી ઘટી જવાના બનાવ વધી રહ્યા છે. બાળકોના શરીરમાં પાણી ઘટતાં જ દાખલ કરવાની ફરજ પડે છે. કાળઝાળ ગરમીથી બાળકોમાં આવનારા સમયમાં હજુ જોખમ વધે તેવી ડોક્ટરો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર
મંગળવારે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી અને પાટણમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદના અનેક વિસ્તારમાં રોગચાળો વકરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શેરડીના રસ, શિકંજી, ઠંડાઈ સહિતના સેન્ટરો પણ નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરી છે. જેથી પાણીજન્ય રોગચાળા પર કાબૂ મેળવી શકાય.
બીજી તરફ દેશમાં ગરમીને કારણે વધી રહેલા લૂના કેસને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી છે. તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે. જેમાં લોકોને લૂથી બચાવ અને લૂ લાગવાની સ્થિતિમાં શું કરવું તે અંગે માહિતી અપાઇ છે. સાથે જ રાજ્ય સરકારોને લૂના દર્દીઓની સારવાર માટે પૂરતા પ્રમાણમાં સ્વાસ્થ્ય અને અન્ય સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું છે.