TV9ના અહેવાલની અસર ! પ્લાનમાં નિષ્ફળતા મળતાં હવે AMCએ જળકુંભી સાફ કરવા પ્લાન B અમલમાં મુક્યો
છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીના (Sabarmati River) શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ 27.5 કરોડનો ખર્ચ કરાયો.
અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં ફેલાયેલી જળકુંભી અંગેનો અહેવાલ TV9 ને બતાવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાની આંખ ખુલી છે. અત્યાર સુધી નર્મદાના પાણી છોડીને જળકૂંભીને દૂર કરવાનો હવાઈ પ્લાન બનાવ્યો. પરંતુ એ પ્લાનમાં નિષ્ફળતા મળતાં હવે કોર્પોરેશને (AMC) જળકુંભી સાફ કરવા પ્લાન બી અમલમાં મુક્યો છે. અમદાવાદની સાબરમતી નદીમાંથી (Sabarmati River) જળકુંભી દૂર કરવાનું પાલિકાને દૂર દૂર સુધી સુઝ્યુ નહોતુ. આખરે ટીવી નાઈને આ અંગેનો અહેવાલ પ્રસારિત કરતાં વિપક્ષે પણ AMCને આડેહાથ લીધી અને ઉંઘમાં રહેલું તંત્ર જાગ્યું. હવે મશીન અને માણસોને કામે લગાડી જળકુંભીની સફાઈ શરૂ કરાઈ છે.
પાણીથી જ જળકુંભીને દૂર કરવાનો કોર્પોરેશનનો પ્લાન નિષ્ફળ
અમદાવાદ શહેરના સુભાષબ્રિજથી લઈ જમાલપુર બ્રિજ સુધીના પટ્ટામાં વિશાળ જળકુંભી પથરાઈ ગઈ છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયંકર દુર્ગંધ આવી રહી છે. આથી રિવરફ્રન્ટ પર આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રિવરફ્રન્ટ પર લોકો ચોખ્ખી હવા માણવા માટે આવતા હોય છે, પરંતુ અહીં પણ જો પવનની લહેરની સાથે દુર્ગંધ જ સહન કરવાની હોય તો કોણ આવવાની હિંમત કરે તે પણ દેખીતી વાત છે. માત્ર દુર્ગંધ જ નહીં અહીં આ જળકુંભીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. ત્યારે સાબરમતી નદીમાં પાણીથી જ જળકુંભીને દૂર કરવાનો કોર્પોરેશનનો પ્લાન નિષ્ફળ ગયો હતો.
નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યાં બાદ નદીમાંથી જળકુંભી વહી જાય તેવો કોર્પોરેશને પ્લાન બનાવ્યો હતો. જેના ભાગરૂપે વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે. છતાં નદીમાં જળકુંભી ઠેરની ઠેર જોવા મળી રહી છે. એટલે કે કરોડોના ખર્ચ બાદ પણ કોર્પોરેશનનો પ્લાન પાણીમાં ગયો છે. ત્યારે ટીવી નાઈનના અહેવાલની અસર દેખાઈ છે. હવે ફરી જળકુંભીના સામ્રાજ્યને હટાવવા કોર્પોરેશને પ્રયત્નો શરૂ કર્યા છે. આ વખતે જળકુંભી હટાવવા AMCના મશીનો અને ટીમો કામે લાગી છે.
વિપક્ષનો આક્ષેપ
આ તરફ AMCના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો છે કે, સાબરમતી નદીમાંથી જળકુંભીના નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ આયોજન નથી. વિપક્ષનો એ પણ આક્ષેપ છે કે 15 વર્ષથી મનપાની ચિંતા વધારનારી જળકુંભીને નદીમાંથી સાફ કરવા માટે મનપાએ દોઢ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે પણ પરિણામ શૂન્ય જ છે.
જો કે હવે જાગ્યા ત્યાંથી સવાર એ કહેવત મુજબ પાલિકાને રહી રહીને પણ જ્ઞાન થયું છે. કમસે કમ સાબરમતીની સફાઈ માટે હવે મશીનોની સાથે એક ટીમને પણ મેદાનમાં ઉતારી છે. અમદાવાદના નાગરિકો આશા રાખી રહ્યા છે કે આ કામગીરી ઝડપથી થશે અને પૂર્ણ રીતે સફાઈ કરાશે. જેથી સાબરમતી ફરીથી એના અસલ રંગરૂપમાં જોવા મળશે.
સાબરમતીના શુદ્ધિકરણ માટે 282.87 કરોડનું આંધણ
છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ 27.5 કરોડનો ખર્ચ કરાયો. જ્યારે નેશનલ રિવર કોન્સર્વેશન પ્લાન હેઠળ 151 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ 5.71 કરોડનો ખર્ચ સાબરમતીના શુદ્ધિકરણ માટે કર્યો છે. સ્ટેટ સ્વર્ણિમ સ્કીમ હેઠળ 24.28 કરોડનો ખર્ચ કરાયો છે, તો ASIDE સ્કીમ હેઠળ રાજ્ય-કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઇલ એસોસિએશને 73.68 કરોડનો ખર્ચ કર્યો છે.
(વીથ ઇનપુટ-સચિન પાટીલ, અમદાવાદ)