અમદાવાદમાં સ્પર્શ મહોત્સવનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે સ્પર્શ નગરી નિહાળી
Ahmedabad: પદ્મભૂષણ વિભૂષિત આચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજીના 400માં પુસ્તકનો લોકાર્પણ સમારોહ એવા “સ્પર્શ મહોત્સવ”ના પ્રથમ દિવસની ઉજવણી અત્યંત ઉમળકાભેર કરવામાં આવી, પ્રથમ દિવસે દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે વિશેષ હાજરી આપી હતી.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 12 દિવસીય સ્પર્શ મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. આ મહોત્સવ 15 જાન્યુઆરી 2023 થી 26 જાન્યુઆરી 2023 સુધી આયોજિત કરવામાં આવ્યો છે.જેમાં પૂજ્યપાદ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મ.સા. સહિત 1000 થી અધિક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોનો સ્પર્શ નગરીમાં પ્રવેશ થયો છે. જેમાં સ્પર્શ મહોત્સવ સમિતિના સંયોજક કુમારપાલ વિ. શાહ સહિત 250થી વધુ જૈન સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, બે લાખથી વધુ લોકોએ પ્રથમ દિવસે મુલાકાત લીધી
પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મરાહાજ સાહેબના 400માં પુસ્તકનો લોકાર્પણ સમારોહ એવા “સ્પર્શ મહોત્સવ”ના પ્રથમ દિવસની ઉજવણી અત્યંત ઉમળકાભેર કરવામાં આવી. જેમા પ્રથમ દિવસે દેશના ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહે વિશેષ હાજરી આપી હતી. તેમના સ્વાગત અર્થે જૈન એલર્ટ બેન્ડના 150 જેટલા સભ્યોએ બેન્ડ-વાજા સાથે ભાવપૂર્ણ અભિવાદન કર્યુ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સમગ્ર “સ્પર્શ નગરી” નિહાળી હતી.
સવારે 9.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી સ્પર્શ મહોત્સવ લોકો માટે ખુલ્લો રહેશે
પ્રથમ દિવસે જૈન એલર્ટ ગ્રૃપના દેશ-વિદેશથી 15000થી વધુ શિબિરાર્થીઓ સાથે પદ્મભૂષણ વિભૂષિત પૂજ્યપાદ આચાર્ય રત્નસુંદરસૂરીશ્વર મરાહાજની નિશ્રામાં “સ્પર્શ મહોત્સવ”નું ઉદ્ઘાટન થયું હતું. માત્ર ભારતમાંથી જ નહીં, પરંતુ લંડન, અમેરીકા, ઓસ્ટ્રેલિયા, કેન્યા, કેનેડા સહિતના દેશમાંથી 15000 થી વધુ શિબિરાર્થીઓ પરિવાર સાથે ઉત્સાહભેર સ્પર્શ મહોત્સવમાં ભાગ લીધો હતો. સાથોસાથ 1000થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં, ભારતભરના 15થી વધુ રાજ્યના 5000થી વધુ પરિવારોએ પ્રથમ દિવસે આવીને અવસરનો લાભ લીધો.
સ્પર્શ મહોત્સવના કન્વીનર કલ્પેશ શાહે ગુરુદેવના શબ્દોની જાદુઈ શક્તિનો પરિચય આપ્યો
પ્રથમ દિવસના પ્રારંભે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબે 25,000 લોકો બિરાજી શકે તેવા વિશાળ પ્રવચન મંડપમાં ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, “જેને પથદર્શક બનાવો તેના પ્રત્યે પારદર્શક રહો. પ્રેમ અને વફાદારી જીવનને ઉન્નત બનાવે છે.” સાથે જ ગુરુદેવ એ જણાવ્યું હતુ કે “સાધના અને તપસ્યા ઉપરાંત જીવનમાં પ્રેમ, સકારાત્મકતા, આનંદને અપનાવવો જરૂરી છે. ખોટું કરનારની સાથે પણ નારાજગી ન રાખીએ અને આપણો દરેક આનંદ સકારાત્મક બની રહે તે ખૂબ આવશ્યક છે. પ્રેમ અને વફાદારી એકબીજાથી જોડાયેલા રહે તો યથાર્થ આનંદ પ્રાપ્ત થાય.”
પ્રથમ દિવસે યોજાયેલી પારિવારિક શિબિરમાં ગુરુદેવએ માંગલિક સંભળાવ્યા બાદ કહ્યું હતું કે “વર્તમાન માહોલ ને જોતા એમ કહીશું કે પ્રેમ, દુનિયામાં સૌથી વધુ વગોવાયેલો છે, પરંતુ સૌથી વધુ પ્રશંસા પણ પ્રેમની જ થાય છે. કારણ કે જો તેમાં વફાદારી હોય તો રાગ-દ્વેષ દૂર થઇ જાય છે. આપણા માતા-પિતા, પિતા-પુત્ર, ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધમાં વફાદારી જળવાશે તો પારિવારિક મૂલ્યોનું વર્ધન થશે.”
સ્પર્શ મહોત્સવના પ્રથમ દિવસે અંદાજે 2 લાખ લોકોએ હાજરી આપી હતી અને તેઓએ રત્ન સફારી, રત્ન યુનિવર્સ, રત્ન વાટિકા, રત્ન ટ્રાન્સફોર્મેશન તથા ગિરનાર તીર્થના દર્શન પણ કર્યા હતા. “સ્પર્શ મહોત્સવ” તેની ભવ્યતા અને વિશાળતા સાથે 26 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે.