ઝેરી કેમિકલ કાંડના સૂત્રધાર સમીર પટેલ ગુજરાતમાંથી ફરાર ! સમીર પટેલને અધિકારીથી ડર લાગે છે પોલીસથી નહીં?!
સમીર પટેલ (Samir Patel)સહિતના એમોસના ડિરેક્ટરની ધરપકડ થઈ શકી નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, વગદારો સાથેના સંબંધ અને રૂપિયાના જોરે સમીર પટેલ ફરાર છે. તેણે આ દરમિયાન કોર્ટમાંથી આગોતરા જામીન (Anticipatory bail) માટે પ્રયાસ કર્યા પરંતુ 50થી વધુના મોતના જવાબદારને સેસન્સ કોર્ટે આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો.
ગુજરાત(Gujarat)ની દારૂબંધીની નીતિની ઘોરખોદી નાંખનારા ઝેરી દારૂકાંડ (Hooch Tragedy)કેસમાં હવે સમીર પટેલને ઝડપી પાડવા અલગ અલગ પોલીસ(Gujarat Police) ટીમ અને અધિકારીઓને જવાબદારીઓ સોંપાઇ છે. સેસન્સ કોર્ટમાંથી આગોતરા જામીન નામંજૂર થતા સમીર પટેલ ગુજરાત છોડી બહાર ફરાર થયા હોવાનું પોલીસ અધિકારીઓ માની રહ્યાં છે. સમીર પટેલને દેશના કોઇ પણ ખુણામાંથી ઝડપી પાડવા હવે અલગ અલગ પોલીસ ટીમ બનાવાઇ અધિકારીઓને સર્વેલન્સની અલગ અલગ જવાબદારી પણ સોંપવામાં આવી છે. બીજી તરફ રાણપુર પોલીસે આજે સવારે ફરી એકવાર સમીર પટેલના ઘરે સર્ચ કર્યુ હોવાનું પણ પોલીસ સૂત્રોનું કહેવું છે.
ધંધૂકા, રાણપુર અને બરવાળામાં ગત મહિને થયેલા ઝેરી દારૂકાંડમાં 50થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. આ મોત પાછળ પોલીસ ચોપડે જવાબદાર મુખ્ય આરોપીઓમાં એમોસ કંપનીના ડિરેક્ટર અને મિથેનોલ સપ્લાય કરનારા જયેશ અને સંજયને માનવામાં આવી રહ્યાં છે. જો કે, પોલીસે ઝેરી દારૂ વેચનારા એક ડઝન આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દીધા છે. જેમાં સંજય અને જયેશનો પણ સમાવેશ થાય છે.
પરંતુ, સમીર પટેલ સહિતના એમોસના ડિરેક્ટરની ધરપકડ થઈ શકી નથી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, વગદારો સાથેના સંબંધ અને રૂપિયાના જોરે સમીર પટેલ ફરાર છે. તેણે આ દરમિયાન કોર્ટમાંથી આગોતરા જામીન માટે પ્રયાસ કર્યા પરંતુ 50થી વધુના મોતના જવાબદારને સેસન્સ કોર્ટે આગોતરા જામીન આપવાનો ઈન્કાર કરી દીધો. જો કે, સમીર પટેલ તો એમોસ કંપનીનું નામ બહાર આવ્યું ત્યારથી જ ફરાર છે અને હજુ સુધી તે પોલીસ સમક્ષ એક વાર પણ “સત્તાવાર રીતે” હાજર થયા નથી.
સમીર પટેલની તપાસ કરી રહેલી પોલીસના સૂત્રોનું કહેવું છે કે, તેના વિરૂધ્ધ એલ.ઓ.સી (લૂક આઉટ સર્ક્યુલર) કાઢવામાં આવ્યો છે માટે તે વિદેશ ફરાર થાય તેવી કોઇ શક્યતા નથી. ઘટના બની અને તેનુ નામ સામે આવ્યું તે દરમિયાન પણ દેશ છોડી દીધો હોય તેવી કોઇ વિગત મળી નથી. બીજી તરફ બાતમીદારોને સક્રિય કરી સમીર પટેલનું લોકેશન શોધતા તે ગુજરાત બહાર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી નિર્લિપ્ત રાયે રાણપુર અને બરવાળાના કેસમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ અધિકારીને સમીરને પકડવાની જૂદી જવાબદારીઓ સોંપી છે. ટેક્નિકલ સર્વેલન્સથી માંડીને હ્યુમન ઈન્ટેલીજન્સ સુધીની તપાસ થઈ રહી છે અને ગમે તે ઘડીએ સમીર પટેલની ધરપકડ થાય તેવી શક્યતાઓ વ્યક્તિ કરી છે.
સમીર પટેલને અધિકારીથી ડર લાગે છે પોલીસથી નહીં?!
સમીર પટેલ ઝેરી લઠ્ઠાકાંડમાં એવુ ચર્ચાસ્પદ નામ છે કે જેને લઈને પોલીસ બેડામાં જ અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ જગ્યાએ ચર્ચા છે કે, એક સિનિયર પોલીસ અધિકારી જ સમીર પટેલને બચાવવાના મૂડમાં છે. પરંતુ તે સમીર પટેલને બચાવવા માટે કોઈ કાવાદાવા કરી શકે તેવી સ્થિતિમાં નથી. બસ તેમના સમીર પટેલને આરોપી બનાવવાનો આડકતરી રીતે વિરોધ વાતોમાં જ નોંધાવે છે. પોલીસ બેડામાં એક ચર્ચા એવી પણ છે કે, સમીર પટેલ વગદાર છે. પૈસા અને સંબંધના જોરે તેને પોલીસનો ડર નથી માત્ર એક તપાસ અધિકારીનો ડર છે. જેના કારણે સમીર પટેલ સહિતના એમોસ કંપનીના ડિરેક્ટરોએ રાણપુર અને બરવાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં જ આગોતરા જામીન અરજી માંગ્યા. જ્યારે ધંધૂકાના કેસમાં તેમણે આગોતરા માંગ્યા નથી. ઉલ્લેખનિય છે કે, રાપણપુર અને બરવાળામાં તપાસનું સુપરવિઝન રાજ્ય સરકારે નિર્લિપ્ત રાયને સોંપ્યુ છે.