Ahmedabad: કોર્પોરેશને શરૂ કરેલા રસ્તા સમારકામનાં આદર્યાં કામ રહ્યાં અધૂરાં
અમદાવાદમાં (Ahmedabad) નાગરિકોને રોડ રસ્તાની સુચારૂ સુવિધા મળી રહે તે માટે રોડ રસ્તાના સમારકામની શરૂઆત કરવામાં આવી હતી. જોકે હવે સપ્ટેમ્બર મહિના સુધી 132 રોડના સમારકામની આ કામગીરી બંધ કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ચોમાસા (Monsoon) દરમ્યાન રોડ રસ્તાના કામો અધૂરાં રાખીને બંધ કરી દેવામાં આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા (AMC)એ ચાલુ વર્ષે 316 રોડનું કામ હાથ ધર્યું હતું. જેમાંથી 184નું કામ પૂર્ણ થઈ ગયું છે. નોંધનીય છે કે ગત રવિવારે આવેલા વરસાદ (Rain)બાદ શહેરમાં સત્તાવાર રીતે 132 રોડના સમારકામની કામગીરી હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. અને હવે સપ્ટેમ્બર સુધી રોડની કામગીરી બંધ રહેશે. હાલમાં શહેરમાં 127 કિલોમીટરના રોડ બંધ છે. જેની પાછળ કોર્પોરેશને રૂપિયા 318 કરોડનો ખર્ચ થવાનો હતો. મહત્વનું છે કે ચોમાસામાં રોડ રસ્તાની કામગીરી બંધ કરવામાં આવે છે. જેથી વરસાદી પાણીને કારણે તાજા બનેલા રોડ ધોવાઇ ન જાય.
અમદાવાદમાં પશ્ચિમ ઝોનમાં 10 તો ઉત્તર પશ્ચિમમાં 21 અને દક્ષિણ પશ્ચિમમાં 51 તથા પૂર્વમાં 11 અને દક્ષિણ 05 તો ઉત્તરમાં 05 રોડ પ્રોજેક્ટના કામ અધૂરાં રહેશે. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં જૂન મહિનામાં ચોમાસાની સિઝનમાં દર વર્ષે રસ્તો બનાવવાની કે, ખોદકામ કરવાની કામગીરી જૂન મહિનાથી જ બંધ કરવામાં આવે છે પરંતુ અમદાવાદમાં આ વર્ષે વરસાદ ખેંચાયો હોવાના કારણે આ કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી. પરંતુ ગત રવિવારે સાંજે વરસાદ પડતાં હવે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કામગીરી બંધ રહેશે અને સપ્ટેમ્બર મહિનામાં જ આ કામ હવે શરૂ કરવામાં આવશે. જોકે હવે સમસ્યા એ છે કે જ્યાં કામ અધૂરાં છે ત્યાં ખાડા પૂરવા સહિતની કામગીરી કેવી રીતે કરવામાં આવશે. જો ભારે વરસાદ આવે તો નાગરિકોને ખાડા ખરબચડાવાળા રસ્તા પર પરિવહન કરવામાં મુશ્કેલી પડી શકે છે.