Ahmedabad: કોરાના વધતા કેસો વચ્ચે સોમવારથી શાળાઓ ખુલશે, AMCએ મંગળવારથી વેક્સીનેશનનો બનાવ્યો એક્શન પ્લાન
AMCના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા પ્રમાણે વેકેશનના કારણે બીજા ડોઝનું વેક્સીનેશન (Vaccination) બાકી હતું. જેને લઈને AMC ફરી સર્વે કરી વેકસીનેશનની પ્રક્રિયા કરશે.
રાજ્યભરમાં કોરોનાના કેસોમાં (Corona cases) વધારો નોંધાઈ રહ્યો છે. રોજ હવે ત્રણ ડિજિટમાં કોરોનાના આંકડા નોંધાઈ રહ્યા છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઉનાળુ વેકેશન પૂર્ણ થતા સોમવારથી શાળાઓ (Schools) રાબેતા મુજબ શરૂ થઈ રહી છે. જેણે વાલીઓ સહિત તંત્રની પણ ચિંતા વધારી છે. ત્યારે ચિંતા દૂર કરવા અને બાળકોને સુરક્ષિત કરવા AMCએ ફરી કવાયત શરૂ કરી છે.
AMCની તકેદારી રાખવા અપીલ
અમદાવાદ શહેર સાથે રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જે વધી રહેલા કેસ વચ્ચે સોમવા૨થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર છે. ત્યારે તકેદારીના ભાગરૂપે અમદાવાદ મહાનગર પાલિકા એક્શનમાં આવ્યું છે, ત્યારે AMC દ્વારા જો બાળકોને શરદી, ખાંસી અને તાવ હોય તો સ્કૂલે ન મોકલવા અપીલ કરવામાં આવી છે. AMCએ પ્રથમ, બીજો કે પ્રિકોશન ડોઝ બાકી હોય તેમને વેક્સિન લેવા અપીલ કરી છે. AMC દ્વારા હવે શાળાઓમાં વેકસીનેશનની કામગીરી શરુ કરવામાં આવશે. સાથે જ વેકસીન લેવામાં બાકી રહેલા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
મંગળવારથી વેક્સીનેશન પ્રક્રિયા
AMCના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા પ્રમાણે વેકેશનના કારણે બીજા ડોઝનું વેક્સીનેશન બાકી હતું. જેને લઈને AMC ફરી સર્વે કરી વેકસીનેશનની પ્રક્રિયા કરશે. જે પ્રક્રિયા મંગળવારથી શરૂ થશે. એક અંદાજ પ્રમાણે શાળામાં ભણતા બાળકોમાં 12 થી 14 વર્ષના અંદાજે અમદાવાદ શહેરમાં 1.60 લાખ ઉપર સંખ્યા છે. જેમાં 1.30 લાખ બાળકોએ રસી લઈ લીધી છે. તો 30 હજાર જેટલા લોકોને વેકસીન લેવાની બાકી છે. તો કેટલાકે પહેલો ડોઝ પણ લેવાનો બાકી છે. વેકસીનેશનથી બાળકોને સુરક્ષિત કરી શકાય તે માટે AMC મંગળવારથી શહેરની અલગ અલગ શાળામાં અલગ અલગ સ્લોટ નક્કી કરી વેકસીન પ્રક્રિયા શરૂ કરશે.
ST અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ
છેલ્લા ઘણા દિવસથી વધતા કોરોના કેસને લઈને AMC હરકતમાં આવ્યું છે. જેમાં પોઝિટિવ દર્દીઓને ટ્રેસ કરી કામગીરી કરવામાં આવી રહી છે. તો એસટી અને રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. તો જે લોકો પોઝિટિવ આવ્યા છે તેમાં 30 ટકા લોકો ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે શાળા શરૂ થતાં તંત્રની ચિંતા વધી છે. જેને લઈને AMC દ્વારા શાળા શરૂ રહેતા સ્કૂલના પ્રિન્સીપાલને બીમાર બાળકો સ્કૂલમાં ન આવે તે માટે સૂચના આપવામાં આવી. વાલીઓને પણ જરૂરી ધ્યાન રાખવા સૂચન કરાયા છે. તેમજ જેમને કોરોના પોઝિટિવ છે તેમને હોમ આઇસોલેટ થવા સૂચન કર્યું છે. જેથી કોરોનાના કેસમાં વધારો ન થાય અને બાળકોને પણ સુરક્ષિત કરી શકાય. જેથી બાળકોના અભ્યાસ પર કોઈ અસર ન પડે.
હાલમાં ઉનાળુ વેકેશનમાં લોકો ફરીને પરત આવી રહ્યા છે. આ સાથે કેસોની સંખ્યા પણ વધી રહી છે. મોટાભાગના કેસ ટ્રાવેલ હિસ્ટ્રીવાળા આવી રહ્યા છે. વેકેશન પુર્ણતાના આરે છે અને સોમવારથી શાળાઓ પણ શરૂ થઈ રહી છે ત્યારે બાળકોએ પણ જાતે સાવચેતી રાખવી જરૂરી છે. આ સિવાય મહાનગર પાલિકાએ વધતાં કેસોને ધ્યાનમાં લઇ જે લોકોના પ્રથમ ડોઝ અને બીજો તેમજ પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે તે તમામને તાકીદે રસીકરણ કરી લેવા પણ જણાવ્યું છે. જેથી પોતે સુરક્ષિત બની તેમન બાળકોને પણ તેઓ સુરક્ષિત કરી શકે અને કોરોનાથી બચી પણ શકે.