Rath Yatra 2021: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનો રસપ્રદ ઇતિહાસ
અમદાવાદમાં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી નીકળતી જળયાત્રા સાથે એક રસપ્રદ ઇતિહાસ પણ જોડાયેલો છે.જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું પ્રથમ ચરણ છે.
અમદાવાદ(Ahmedabad ) માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને નીકળવાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ ગુરુવારે 24 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે નીકળતી જળ યાત્રા( Jal yatra) માટે મંજૂરી આપવામાં આવી છે. જેમાં પણ કોરોના પ્રોટોકોલ મુજબ સીમિત સંખ્યામાં જળયાત્રાની વિધિ સંપન્ન કરવામાં આવશે.
જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું પ્રથમ ચરણ
ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા તો અષાઢી બીજના રોજ નીકળે છે. પરંતુ જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો વિધિવત્ પ્રારંભ ગણવામાં આવે છે. જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા( Jal yatra) મહોત્સવ રથયાત્રાનું પ્રથમ ચરણ છે.
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક કરાશે
અમદાવાદ(Ahmedabad )માં જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરેથી નીકળતી જળયાત્રા( Jal yatra) સાથે એક રસપ્રદ ઇતિહાસ પણ જોડાયેલો છે. આ દિવસે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી જળ લાવ્યા બાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જળાભિષેક કરવામાં આવે છે.
આ જળાભિષેક દરમિયાન સાધુ-સંતો અને ભક્તજનોની હાજરીમાં મૂર્તિઓને દૂધ અને કેસરથી સ્નાન કરાવાય છે. જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કરીને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે.
ભગવાન જગન્નાથજી,બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘેર જાય છે
તેમજ એક માન્યતા મુજબ આ દિવસથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ મામાને ઘેર જાય છે અને આ દિવસથી મંદિરમાં તેમના દર્શન થતાં નથી. તેમની પ્રતિમાને સ્થાને માત્ર ફોટો મૂકવામાં આવે છે.ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામનું મોસાળ સરસપુરમાં છે. તેમજ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પૂનમના દિવસે નિજ મંદિરમાં પરત ફરે છે. તેની બાદ અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે
જો કે આ વર્ષે કોરોનાની બીજી લહેર બાદ ગુરુવારે યોજાનારી જળયાત્રા જગન્નાથ મંદિર થી સોમનાથ ભુદરના આરા સુધી નીકળશે. જેમાં આ વર્ષે 5 કળશ, 1 ગજરાજ , ધજાઓ અને પતાકા સાથે 50 મહંત,સેવકો અને હરિભક્તો જોડાઈ શકશે. આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાશે. જે તમામે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે.