અમદાવાદ સિવિલમાં ચાર દિવસમાં દરરોજ એક અંગદાન, સરેરાશ 4 વ્યક્તિઓને પ્રતિદિન નવજીવન
અગાઉ સુરત અને અમદાવાદની (Ahmedabad) સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાનનું (Organ donation) સેવાકીય કાર્ય આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બન્યું છે.
ગુજરાતમાં (Gujarat) સરકાર, સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે અંગદાનની (Organ donation) સેવાકીય પ્રવૃતિ વેગવંગી બની છે. રાજ્યની સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલના (Private hospital) તબીબો પણ અંગદાનના સેવાયજ્ઞમાં જોડાયા છે. અંગદાન ક્ષેત્રે સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને પ્રત્યારોપણ ક્ષેત્રે SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીની ટીમના સનિષ્ઠ પ્રયાસો અને સંકલનનું સુખદ પરિણામ મળ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન
ગુજરાત સરકારે આદરેલા અંગદાનના સેવાયજ્ઞના પરિણામે રાજ્યભરમાં જાગૃતતા વધી છે. અગાઉ સુરત અને અમદાવાદની સરકારી હોસ્પિટલ પૂરતા જ સીમિત રહેલું અંગદાનનું સેવાકીય કાર્ય આજે રાજ્યના અન્ય જિલ્લાઓમાં અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં પણ શક્ય બન્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 15 જૂનથી 18 જૂન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજ એક અંગદાન થયું છે.
મહત્વની બાબત એ છે કે, સરકારી સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ 18 મી જૂનના રોજ અંગદાન થયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની વિગતો જોઇએ તો, 15 થી 18 જૂન દરમિયાન ચાર અંગદાન થયા છે. જ્યારે 18 મી જૂને અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં પણ એક અંગદાન થયું છે.
71 થી 74માં અંગદાનની સમગ્ર વિગતો
અમદાવાદ સિવિલમાં છેલ્લા ચાર દિવસમાં થયેલ 71 થી 74માં અંગદાનની સમગ્ર વિગતો આ પ્રમાણે છે. 71માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંજયકુમાર ગોહિલના અંગદાનથી હ્યદય, બંને કિડની અને લીવર, 72માં અંગદાનમાં મહેસાણાના મનોજભાઇ પરમારના અંગદાનમાં હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ, 73માં અંગદાનમાં સુરેન્દ્રનગરના સંગીતાબેન વનાલીયાના અંગદાનમાં હ્યદય, બંને કિડની અને લીવર, 74 માં અંગદાનમાં અમદાવાદના 25 વર્ષીય રાહુલભાઇ રાજભરના અંગદાનમાં લીવરનું દાન મળ્યું છે.
આ ચારેય દર્દીઓના કિસ્સામાં ખાસ નોંધનીય બાબત એ હતી કે, બ્રેઇનડેડ થયા બાદ અંગદાન માટે પરિજનોનું જે કાઉન્સેલીંગ કરવું પડે છે, તેમાં ગણતરીના કલાકોમાં જ પરિજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. આ તમામ અંગદાતાઓના પરિજનો અંગદાનના મહત્વથી વાકેફ હતા.
અમદાવાદની ખાનગી કે.ડી. હોસ્પિટલમાં થયેલા અંગદાનમાં રસપ્રદ બાબત એ છે કે, દલ્લુ વિનાયગમ કે જેઓ હાઇકોર્ટના પૂર્વ કર્મચારી હતા અને મેરેથોન તેમજ સ્વીમીંગની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હતા, તેઓ જ્યારે બ્રેઇનડેડ થયા ત્યારે તેમના પરિવારજનોએ સ્વૈચ્છાએ અંગદાન માટે ઇચ્છા દર્શાવી હતી. છેલ્લા કેટલાય સમયથી મીડિયાના માધ્યમથી અંગદાન અંગે વાંચતા તેઓ અંગદાનનું મહત્વ સમજતા હતા અને જ્યારે દલ્લુભાઇ વિનાયગમ 16 જૂનના રોજ બ્રેઇનડેડ થયા ત્યારે અન્યોને ઉપયોગી બનવા તેમના પરિજનોએ અંગદાનની ઇચ્છા દર્શાવી. જેમના અંગદાનમાં બંને કિડની, લીવર અને બંને કોર્નિયાનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTO (State Organ Tissue And Transplant Organization)ની ટીમના રાઉન્ડ ધ ક્લોક માનવસેવાના નિર્ધારના પરિણામે આજે દરરોજ સરેરાશ 4 વ્યક્તિઓને નવજીવન મળી રહ્યું છે. અંગદાન ક્ષેત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ તેમજ SOTTOના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદી અને તેમના ટીમના પ્રત્યારોપણ માટેના પ્રયાસોના પરિણામે આજે અંગોની ખોડખાપણ કે તકલીફના કારણે પીડામય જીવન જીવી રહેલા દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અંગદાનની પ્રવૃતિને વેગ મળે તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે. રાજ્યમાં કોઇપણ જીવીત વ્યક્તિને અંગદાન કરવું પડે નહીં અને રાજ્યભરમાંથી અંગોના પ્રત્યારોપણ માટે વેઇટીંગ ઘટે તે માટે વિવિધ જીલ્લા હોસ્પિટલમાં અંગદાન અને અંગોના પ્રત્યારોપણની સધન કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકાર, સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાના સહિયારા પ્રયાસોના પરિણામે ગુજરાતમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંગી બની છે.