Ahmedabad : પાલતુ ગાય માટે બનાવડાવી દીધા લાખોના ઘરેણાં, આ વ્યક્તિની બધે જ થઇ રહી છે ચર્ચા
Ahmedabad : પ્રાણીઓ અને માણસો વચ્ચેનો સંબંધ ખૂબ મધુર હોય છે. માણસો તેમના પાલતુ પ્રાણીઓ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
Ahmedabad : પ્રાણીઓ અને માણસો વચ્ચેનો સંબંધ ખૂબ મધુર હોય છે. એવું કહેવું ખોટું નહીં હોય કે માણસો તેમના પાલતુ પ્રાણીઓ માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પશુ પ્રેમી લોકો માટે તેમના ફોન અને લેપટોપની મેમરી પણ તેમના પાલતું પ્રાણીના વીડિયોઝ અને ફોટાથી ભરેલી હોય છે. પરંતુ જો કોઈ પોતાના પાલતું પ્રાણીને સજાવવા માટે ઘરેણાં બનાવે છે તો? હા, અમદાવાદના એક વ્યક્તિએ આવું જ કંઇક કર્યું, આખી વાત જાણીને તમે પણ એક ક્ષણ માટે ચોંકી જશો.
ગુજરાતના રહેવાસી વિજય પરસાણા પોતાની ગાય અને વાછરડાને એટલો પ્રેમ કરે છે કે તેણે તેના માટે ઘરેણાં બનાવવાનું વિચાર્યું. આ ઘરેણાં ફૂલો કે પાંદડાઓના નહીં પરંતુ સોના, ચાંદી તેમજ રત્નોથી બનાવાયા છે. જેના માટે તેમણે અમદાવાદના એક જ્વેલરી શો-રૂમના માલિક મનોજ સોની સાથે વાત કરી. મનોજ ઘરેણાં બનાવવા તૈયાર થયા, પરંતુ તેમણે એક શરત મૂકી. તેમણે કહ્યું હતું કે જ્યારે વિજય તેની ગાયને તેના શોરૂમમાં લાવશે ત્યારે જ તે દાગીના બનાવશે.
શો-રૂમના માલિકે આ શરત રાખી હતી
આ શરત સ્વીકાર્યા બાદ વિજય પરસાણા તેની ગાય અને વાછરડાને શો રૂમ લઈ ગયા. જ્યાં મનોજ સોનીએ ગાયને માત્ર શણગારી જ નહીં પરંતુ તેની આરતી પણ કરી હતી. ગાય-વાછરડા ઉપર ફૂલો પણ વરસાવ્યા હતા. આ દરમિયાન વિજયનો આખો પરિવાર અને શો રૂમનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો. આખા શો રૂમને ફૂલોથી એવી રીતે શણગારવામાં આવ્યો હતો કે કોઈના લગ્ન ત્યાં થઇ રહ્યા હોય. ઝવેરાત પહેર્યા પછી ગાય અને વાછરડાને ફળ આપીને રવાના કરવામાં આવ્યા હતા. જેને પણ આ વિશેની જાણકારી મળી તે વિજયના પશુ પ્રેમ અને મનોજની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે. આ સમગ્ર સમારોહનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે