અમદાવાદમાં ઓરીએ વધારી આરોગ્ય વિભાગની ચિંતા, અત્યાર સુધી ઓરીના 330 કેસ નોંધાયા
અમદાવાદના (Ahmedabad) કેટલાક વિસ્તારોમાં ઓરીનો (Measles) રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે.
અમદાવાદમાં ઓરીનો રોગ વકરી રહ્યો છે, જે બાળકોને શિકાર બનાવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 4 મહિનામાં ઓરીના કુલ 329 કેસ નોંધાયા છે. સામાન્ય સંજોગોમાં ઓરી ખૂબ જ ધીમી ગતીથી બાળકોમાં ફેલાય છે, પરંતુ છેલ્લા ચાર મહિનામાં જે ગતીથી બાળકો ઓરીની ઝપેટમાં આવી રહ્યા છે, તેણે બાળકોના માતા-પિતા અને આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. આ જ કારણ છે કે આરોગ્ય વિભાગે ઓરીને કાબૂમાં કરવા માટે ટેસ્ટિંગ અને રસીકરણની કામગીરી વધારી દીધી છે. જે રીતે ઓરીના કેસ વધી રહ્યા છે તેને જોતા તબીબો જણાવી રહ્યા છે કે માતા-પિતાએ અન્ય અફવાઓમાં નહીં આવીને તુરંત જ બાળકોની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ.
અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ઓરીનો રોગચાળો વકરતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. ઓરીના કેસ વધતા કોર્પોરેશને રસીકરણ અને ટેસ્ટિંગ શરૂ કરી દીધુ છે. છેલ્લા ચાર મહિનામાં ઓરીના સૌથી વધુ કેસ દાણીલીમડા, બહેરામપુરા અને સરસપુર વિસ્તારમાં જોવા મળ્યા છે. ઓરીને ફેલાવતો અટકાવવા 15 દિવસ બાળકને આઈસોલેટ રાખવા જરૂરી છે, જેથી ઓરીના કેસ છે તેવા વિસ્તારોમાં લોકો બાળકોને રમવા મોકલવાનું ટાળી રહ્યાં છે. કોરોના વખતે ઓરીનું રસીકરણ બંધ રહેતાં પૂર્વના કેટલાક વિસ્તારોમાં ઓરીના કેસ જોવા મળી રહ્યા છે.
કયા મહિનામાં કેટલા કેસ નોંધાયા ?
ઓગસ્ટમાં 25 કેસ સપ્ટેમ્બરમાં 69 કેસ ઓક્ટોબરમાં 108 કેસ નવેમ્બરમાં 135 કેસ કુલ 330 કેસ
અમદાવાદ શહેરમાં ઓરીના કેસ વધતાં ગત શુક્રવારથી કેન્દ્રના આરોગ્ય વિભાગના 3 સભ્યની ટીમ અમદાવાદ આવી છે. આરોગ્યની ટીમે ઓરીના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા સંકલિતનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી. કેન્દ્રની ટીમે ઓરીને કંટ્રોલ કરવા માટે શાળામાં પણ ઓરીનું રસીકરણ અને ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવાનું સૂચન કર્યું હતુ.
શું છે ઓરીના લક્ષણો?
ઉધરસના ડ્રોપ્લેટથી ઓરી ઝડપથી ફેલાતો હોવાનું સામે આવ્યું છે. આ સ્થિતિમાં ઓરીના લક્ષણો શું છે તે જાણવું પણ જરૂરી છે. લક્ષણોની વાત કરીએ તો બાળકની ત્વચા પર લાલ ફોલ્લી થવા લાગે છે. જે ઓરીનું મુખ્ય લક્ષણ છે. આ ઉપરાંત બાળકને ભારે તાવ આવવો, વધુ પડતી ઉધરસ આવવી, આંખો લાલ થવી, ખૂબ થાકી જવું, વહેતું નાક, સૂકું ગળું, સ્નાયુઓમાં દુઃખાવો, મોઢામાં ચાંદા પડવા, આંખે ઝાંખું દેખાવું અને સ્વભાવ ચીડિયો થઈ જાય છે.