રાજ્ય સરકારના સબ સલામતના દાવા વચ્ચે રાજ્યભરના પંપો પર પેટ્રોલ-ડીઝલની અછત
જથ્થાબંધ વપરાશકારો અગાઉ ઓઈલ કંપનીઓ પાસેથી પોતાની જરૂરિયાતનો જથ્થો મેળવતા હતા. જેથી તેઓ પોતાના વાહનોમાં રિટેલ પંપો પરથી ડીઝલ પુરાવવા લાગ્યા. જેથી રિટેલના વેચાણમાં 30થી 40 ટકાનો વધારો થયો છે
પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) ની અછત નહીં સર્જાય તેવી ખાતરી રાજ્ય સરકાર (State Government) આપી રહી છે, પરંતુ સ્થિતિ કંઇક અલગ જ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પેટ્રોલ-ડીઝલની અછતની સ્થિતિ સર્જાઈ છે. હોલસેલ ગ્રાહક રિટેલ તરફ વળતા અનેક શહેરોના પેટ્રોલપંપો ખાલીખમ થઇ ગયા છે. કંપનીઓએ સપ્લાય ઘટાડી દેતા પેટ્રોલ-ડીઝલની તંગી ઉભી થઈ છે. તો બીજી તરફ રાજ્ય સરકારે આશ્વાસન આપ્યું છે કે, રાજ્યમાં પૂરતો સ્ટોક છે. તેથી લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. બલ્ક વપરાશકારો રિટેલ પંપ પરથી ડીઝલની ખરીદી કરી રહ્યા છે. તેથી પેટ્રોલપંપો પરથી જથ્થો ખૂટવા લાગ્યો છે. સૂત્રો મુજબ જથ્થાબંધ વપરાશકારો અગાઉ ઓઈલ કંપનીઓ પાસેથી પોતાની જરૂરિયાતનો જથ્થો મેળવતા હતા. જેથી તેઓ પોતાના વાહનોમાં રિટેલ પંપો પરથી ડીઝલ પુરાવવા લાગ્યા. જેથી રિટેલના વેચાણમાં 30થી 40 ટકાનો વધારો થયો છે અને રિટેલ પંપો પરના વેચાણમાં 138 ટકાનો વધારો થયો છે. એટલું જ નહિં રિટેલ કરતા હોલસેલમાં ડીઝલ 21 રૂપિયા મોંઘુ થયું છે.
ખુદ સરકારનું એસટી નિગમ પણ ઓઈલ કંપનીઓ પાસેથી ડીઝલ ખરીદવાને બદલે દરેક ડેપો પાસેના રિટેલ પંપો પરથી ડીઝલ ખરીદી રહ્યુ છે. આજ રીતે ખાનગી કંપનીઓ અને ટ્રાન્સપોર્ટરો સહિતના અન્ય મોટા વપરાશકારો રિટેલ પંપો પરથી પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવાનું શરૂ કર્યું છે. આ કારણે પણ રિટેલ પંપો પર પેટ્રોલ-ડીઝલના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે.
ગુજરાતમાં 4 હજારથી વધુ પેટ્રોલ પંપ છે. જ્યાં, પેટ્રોલ તેમજ ડીઝલની સપ્લાયનો પ્રશ્ન ઘેરો બન્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી BPCL અને HPCLમાંથી પુરવઠો અનિયમિત બન્યો છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલની સપ્લાય ઓછી છે. તેમજ અવાર-નવાર ઓર્ડર આપવા છતાં પુરવઠો મોડો આવતો હોય છે. તેના કારણે પણ પંપ માલિકોની મુશ્કેલી વધી શકે છે. જોકે, IOC તરફથી પુરવઠો નિયમિત હોવાથી લોકોને જરૂરિયાત મુજબનું પેટ્રોલ મળી રહે છે. આ મામલે પેટ્રોલ પંપ એસોસિએશનના જણાવ્યા મુજબ લોકોને જરૂરિયાત મુજબની સપ્લાય ચાલુ જ છે અને મળતી રહેશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ વધી રહ્યા છે તેની સામે ભારતમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ ખાસ વધ્યા નથી, જેથી કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. તેના કારણે પણ પુરવઠો ધીમો કરવામાં આવ્યો છે.