International Nurses Day: જાણો સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞમાં મહત્વનો રોલ નીભાવતી ‘ટીમ 90’ વિશે
2મી મે એટલે 'વિશ્વ નર્સિસ ડે'. આ દિવસે આપણે વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલે શરુ કરેલા અંગદાનના મહાયજ્ઞની. જેમાં 60 વ્યક્તિઓના અંગદાન થકી 163 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
Ahmedabad: 12મી મે એટલે ‘વિશ્વ નર્સિસ ડે’ (International Nurses Day). આ દિવસે આપણે વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલે (Ahmedabad Civil Hospital) શરુ કરેલા અંગદાનના મહાયજ્ઞની. જેમાં 60 વ્યક્તિઓના અંગદાન (Organ donation) થકી 163 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં સફળતા મળી છે. આ સફળતા પાછળ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ, તબીબો, કાઉન્સેલર્સ, સિક્યુરીટી ગાર્ડ અને નર્સિંગ સ્ટાફની (Nursing staff) મહેનત જોડાયેલી છે.
સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ ખાસ કરીને અંગદાનના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આઇ.સી.યુ. કેર અને ઓપરેશન થીયેટરમાં ફરજરત નર્સિંગ સ્ટાફ અંગદાન માટે બેકબોન બનીને કાર્ય કરી રહ્યું છે. ICU કેર માટે ‘ટીમ 90’ એટલે કે 90 નર્સિંગ સ્ટાફ ઇમરજન્સી કેર માટે દિવસ રાત રાઉન્ડ ધ ક્લોક કાર્ય કરે છે. ખાસ કરીને દર્દી જ્યારે ગંભીર હાલતમાં હોય અને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવે ત્યારે તેને સી.પી.આર. આપવું, ઇમરજન્સી ડ્રગ્સ આપવા, જરૂરિ વાઇટ્સ દર કલાકે મોનીટર કરવાની કામગીરી આ મિત્રો કરે છે.
આઇ.સી.યુ. કેરમાં આવા જ એક 29 વર્ષીય નર્સ તન્વીબેન કે, જેઓ છેલ્લા ત્રણ વર્ષથી આઇ.સી.યુ. કેરમાં કાર્યરત છે. તેઓ જણાવે છે કે, બ્રેઇનડેડ દર્દીને ICUમાંથી ઓપરેશન થીયેટર સુધી પહોંચાડવા સુધીની કામગીરી ઘણી મહત્વની હોય છે. બ્રેઇનડેડ દર્દીના શરીરના તમામ માપદંડો અને સપોર્ટ સિસ્ટમને લાઇવ રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે. જે કાર્ય આઇ.સી.યુ. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.
બ્રેઇનડેડ દર્દી ઓપરેશન થીયેટરમાં પહોંચી જાય ત્યારે ઓપરશન થીયેટરમાં અલગ નર્સિંગ સ્ટાફ હોય છે જે સર્જરીને લગતી કામગીરીમા સહાયકની ભૂમિકા અદા કરે છે. આવા જ અન્ય એક નર્સ કે, જેઓએ સ્વને ભૂલીને સમષ્ટિ માટે કાર્ય કરવાને પ્રાથમિકતા આપીને અંગદાન માટેના રીટ્રાઇવલ સેન્ટરમાં સહર્ષ ડ્યુટી સ્વીકારી. આ ફરજને નૌકરી માટે નહીં પરંતુ સમાજમાં લોકઉપયોગી બનવાના ઉદ્દેશ સાથે ફરજ અદા કરીને મિસાલ કાયમ કરી છે. આ નર્સ છે ‘નેહા સિસ્ટર’. સિવલ હોસ્પિટલમાં ફરજરત નેહા સિસ્ટર ઘણાં સમયથી પ્લાસ્ટીક ઓપરેશન થીયેટરમાં ફરજ અદા કરી રહ્યા છે. તેમણે સિવિલ હોસ્પિટલના અંગદાનની મુહિમમાં સહર્ષ જોડાઇને સેવાકાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે.
અંગદાનના રીટ્રાઇવલ સેન્ટરમાં કામગીરી અન્યથી કઈ રીતે અલગ છે તેના વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે, અન્ય ઓપરેશન થીયટેરમાં દાખલ દર્દીના જીવ બચાવવા માટે ઓપરેશન કરવામાં આવે છે જ્યારે રીટ્રાઇવલ સેન્ટરમાં 9 વ્યક્તિઓને નવજીવન આપવા તબીબો સાથે સહાયક તરીકે સંપૂર્ણ પ્રક્રિયા સાથે જોડાઇને તમામ અંગોનું રીટ્રાઇવલ થઇ ન જાય ત્યાં સુધી રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ રહીએ છીએ.
સિવિલ હોસ્પિટલના અંગદાનની મુહિમ 60 એ પહોંચી છે. સિવિલ હોસ્પિટલ તંત્રના અથાગ પરિશ્રમ અને આદરેલા સેવાયજ્ઞમાં 60 અંગદાતાઓના પરિવારજનોએ કરેલા અંગોના દાન થકી 163 જીવોમાં જીવ આવ્યો છે. અંગદાન બાદ અંગોના રીટ્રાઇવલ માટે જેટલી મહેનત તબીબો કરે છે તેટલો જ પરિશ્રમ તેમના સાથે રહીને નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે.