22 ઓક્ટોબરે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક, નેતૃત્વ પરિવર્તન અંગે લેવાઈ શકે છે નિર્ણય
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે તેમજ ગુજરાતમાં કયા પ્રકારના બદલાવ કરી શકાય અને પરિણામલક્ષી કામગીરી બાબતે મંતવ્યો જાણવામાં આવશે.
AHMEDABAD : આવતીકાલે 22 ઓક્ટોબરે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ની મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તન અંગે નિર્ણય લેવાઈ શકે છે. રાહુલ ગાંધીએ બોલાવેલા ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પર્સનલ વન ટુ વન બેઠક કરશે.ગુજરાતમાં આવનારું કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવામાં આવશે. 22મી ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે શરૂ થનારી બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસની હાલની સ્થિતિ અને રાજકીય શક્યતાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.
ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી અંગે તેમજ ગુજરાતમાં કયા પ્રકારના બદલાવ કરી શકાય અને પરિણામલક્ષી કામગીરી બાબતે મંતવ્યો જાણવામાં આવશે. ગુજરાતના પ્રભારી અને રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્મા પણ એમની સાથે હાજર રહેશે.
પ્રભારી રઘુ શર્માએ થોડાક દિવસ અગાઉ જ એક રિપોર્ટ દિલ્હીને સોંપ્યો, જે પછી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, નરેશ રાવલ અને શૈલેષ પરમાર સહિતના નેતાઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહેશે.
છેલ્લા લગભગ એક વર્ષથી કોંગ્રેસના પ્રમુખ બદલવા માટેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર કોઇ નિષ્કર્ષ આવતો ન હતો.જેથી વારંવાર કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા હાઈકમાન્ડને રજુઆત પહોંચાડી હતી.પરંતુ રાજસ્થાન અને પંજાબને કારણે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાત માટે નિર્ણય નહોતા લઈ શકતા હોવાનું પણ જણાઈ રહ્યું હતું.
આ પણ વાંચો : Corona Updates: રશિયામાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1024 લોકોનાં મોત અને 34 હજાર કરતા વધારે નોંધાયા નવા કેસ
આ પણ વાંચો : રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના ફરી એકવાર તીખા તેવર, વીડિયો કોંફરન્સમાં 5 કલેકટરને ઉધડા લીધા