રેલવેમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો તો માસ્ક પહેરવાનું ભૂલી જશો તો 500 રૂપિયાનો ચાંલ્લો ચોટી જશે, રેલવે મંત્રાલયે ફરજિયાત માસ્ક પહેરવા પરિપત્ર કર્યો
બે દિવસથી પરિપત્ર જાહેર કરવા છતાં હજુ સુધી અમદાવાદ રેલવે વિભાગને તેની જાણ નથી.
જો તમે રેલવે (railway) માં મુસાફરી કરો છો તો હવે તમે ફરજીયાત માસ્ક (mask) પહેરવા તૈયાર થઈ જજો. કેમ કે રેલવે મિનિસ્ટ્રી (Ministry of Railways) એ એક પરિપત્ર બહાર પાડી રેલવે મુસાફરો (Passenger) ને મુસાફરી દરમિયાન ફરજિયાત માસ્ક પહેરવા જાહેરાત કરી છે. તેમજ રેલવેના સંલગ્ન વિભાગને પરિપત્ર જાહેર કરી ટકોર કરી છે. અને જો તમે માસ્ક વગર દેખાયા તો રેલવે વિભાગ તમારી પાસેથી દંડ પણ વસુલ કરી શકે છે.
છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં ફરી એક વાર કોરોના કેસ વધતા દેખાઈ રહ્યા છે. જેને લઈને સરકારી વિભાગ અને AMC કામ કરી રહ્યું છે. પણ કોરોના પોઝિટિવ આવનાર લોકોમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવતા હવે રેલવે વિભાગ એક્શનમાં આવ્યું છે. અને ટ્રાવેલિંગ દરમિયાન કોરોના કેસ વધે નહિ તે માટે સુરક્ષાના ભાગ રૂપે પહેલાની જેમ મુસાફરોએ મુસાફરી દરમિયાન માસ્ક ફરજિયાત પહેરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. 9 મેના રોજ રેલવે મિનિસ્ટ્રી એ આ પરિપત્ર જાહેર કર્યો હતો જોકે તેને બે દિવસ વીતી ગયા છતાં તેનું પાલન રેલવે સ્ટેશન પર થતું ન હોવાનું સામે આવ્યું. કેમ કે રેલવે સ્ટેશન પર મુસાફરો સાથે સ્ટાફ પણ માસ્ક વગર ફરતા દેખાયા. જેમને હાલમાં પડતી ગરમીના કારણે માસ્ક નથી પહેરી રહ્યા કે પછી માસ્ક ભૂલી ગયાના કારણ આગળ ધરી દીધા. જે તંત્ર અને લોકોની ઘોર બેદરકારી કહી શકાય.
મહત્વનું છે કે બીજી લહેરમાં છૂટછાટ મળતા કેટલીક ટ્રેન sop સાથે શરૂ કરાઇ. જેમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટના ફરજિયાત રખાયું. જે નિયમ આજે પણ લાગુ છે. જેમાં તે વખતે રેલવે વિભાગે માસ્ક નહિ પહેરનાર સામે કાર્યવાહી કરી 3196 કેસ કરી 6.23 લાખ દંડ વસુલ કર્યો હતો. જોકે કોરોના કેસ ઘટતા મુસાફરો અને તંત્ર નિયમ ભૂલી ગયા. અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે રેલવે મિનિસ્ટ્રીએ કેસ વધતા તેમના જ રેલવે વિભાગને નિયમ પાલન કરવા માટે ટકોર રૂપે માસ્ક ફરજિયાતનો પરિપત્ર જાહેર કર્યો. જોકે બે દિવસ પરિપત્ર જાહેર કરવા છતાં હજુ સુધી અમદાવાદ રેલવે વિભાગને તેની જાણ નથી. જે જાણ થતાં તેનું પાલન શરૂ કરી નિયમ ભંગ કરનાર સામે 500 ના દંડની કાર્યવાહી શરૂ કરવાની ખાતરી રેલવેના pro એ આપી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં અમદાવાદ માં કેસ વધી રહ્યા છે. જેમાં NID સંસ્થામાં સૌથી વધુ કેસ આવ્યા છે. જે લોકોમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. જેથી તેઓના કારણે અન્ય ને કોરોના ન ફેંકાય અને ટ્રાવેલિંગ દરમિયાન લોકો સુરક્ષીત રહે માટે આ પરિપત્ર ફરી જાહેર કરાયો છે. જોકે હવે સમય આવી ગયો છે કે જનતા જાતે જાગૃત બને અને જાતે લોકો માસ્ક પહેરતા થાય જેથી લોકો પોતે સુરક્ષીત બને અને તેનાથી શહેર અને રાજ્ય સુરક્ષીત બની શકે.