Ahmedabad: PSIની સીધી ભરતી પ્રક્રિયા અંગે હાઇકોર્ટમાં થઇ સુનાવણી, સરકારે તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કર્યાનું જણાવ્યું
ભરતી બોર્ડે (Recruitment Board) તમામ કેટેગરી મળીને 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કર્યો છે. ઉમેદવારોની ફરિયાદ છે કે જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ છે. એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ રજૂઆત કરાઈ છે.
PSIની સીધી ભરતી પ્રક્રિયાના (Recruitment Board) વિવાદ મુદ્દે હાઇકોર્ટમાં (Gujarat High court) સુનાવણી થઈ છે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામા મારફતે જવાબ રજૂ કર્યો છે. સરકાર દ્વારા તમામ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગત સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારને પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે જણાવ્યું હતું. આ પહેલાની સુનાવણીમાં હાઇકોર્ટે અરજદારોને સલાહ આપી હતી કે, તમે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો.
અરજદારોની રજુઆત
સમગ્ર ઘટનાની વાત કરીએ તો PSIની પરીક્ષામાં દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન થયું નથી, તેવી ફરિયાદ સાથે કોર્ટમાં અરજી થઈ છે. GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ એવી અરજદારોની રજુઆત છે. તો સાથે જ પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટ વાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઇ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ રજુઆત છે.
ભરતી બોર્ડે તમામ કેટેગરી મળીને 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કર્યો છે. ઉમેદવારોની ફરિયાદ છે કે જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ છે. એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ રજૂઆત કરાઈ છે. તેવામાં ઉમેદવારોએ રોષ વ્યક્ત કર્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે હવે 3 જૂને ન્યાય મળે તો પણ તેનું શું કરવાનું.
મહત્વનું છે કે સરકારે 12 જૂન અને 19 જૂનના રોજ PSIની પરીક્ષા લેવાનું નક્કી કરેલું છે. 12 જૂને લેવાનારી પરીક્ષા માટેના એડમિટ કાર્ડ 5 જૂનથી ડાઉનલોડ કરી શકાશે.