PSI સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે સુનાવણી, હાઇકોર્ટે અરજદારોને કહ્યું, પરીક્ષાની તૈયારી ચાલુ કરી દો
મહત્વનું છે કે દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહિ થયું હોવાની ફરિયાદ સાથે કોર્ટમાં અરજી થઈ છે. આ સાથે જ અરજદારોની ફરિયાદ છે કે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
પીએસઆઇ (PSI) સીધી ભરતી પ્રક્રિયાના વિવાદ મુદ્દે આજે હાઇકોર્ટ (Highcourt) માં સુનાવણી હાથ ધરાઈ છે. જેમા હાઇકોર્ટ દ્વારાં અરજદારોને સલાહ આપવામા આવી કે તમામ ઉમેદવારો પરીક્ષાની તૈયારી ચાલુ કરી દે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે કોર્ટ સમક્ષ તમારી ફરિયાદ સાથે આવ્યા છો તો ન્યાય થશે. આમ પરીક્ષાની તૈયારી ચાલુ કરવા કોર્ટની અરજદારોને સલાહ આપવામા આવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે સરકારને પણ તાકીદ કરતા કહ્યું કે 1 જૂન સુધીમાં અરજદારોની ફરિયાદ મુદ્દે સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે.
આ સાથે એડવોકેટ જનરલ હાજર ના હોય તો ગવર્નમેન્ટ પ્લીડરની ઓફીસ આ મુદ્દે જરૂરી માહિતી મેળવીને કોર્ટ સમક્ષ રજુ કરે. જેનુ મુખ્ય કારણ છે કે છેલ્લી 4 મુદતથી સરકાર તરફથી જવાબ રજુ નહિ થયો હોવાની અરજદારોએ ફરિયાદ કરી છે. આ સાથે જ કોર્ટ નિર્ણય ના લે ત્યાં સુધી મેઈન પરીક્ષા પર રોક લગાવવા પણ અરજદાર દ્વારા માંગ કરવામા આવી છે. આ તમામ પ્રક્રિયા વચ્ચે હાઈકોર્ટે કોર્ટે અરજદારોને કહ્યું આવતી મુદ્દત સુધીમાં સરકાર જવાબ રજૂ ના કરે તો આ રજુઆત કરજો.
મહત્વનું છે કે દરેક કેટેગરીના પાસ થયેલા ઉમેદવારોના ત્રણ ગણા ઉમેદવારો બોલાવવાના નિયમનું પાલન નહિ થયું હોવાની ફરિયાદ સાથે કોર્ટમાં અરજી થઈ છે. આ સાથે જ અરજદારોની ફરિયાદ છે કે કુલ જગ્યાની સામે પર્યાપ્ત માત્રામાં ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. GPSC પેટર્ન પ્રમાણે જે-તે કેટેગરી પ્રમાણે એટલે કે ST, SC OBC અને બિનઅનામત વર્ગના ઉમેદવારોની કેટેગરી અનુસાર કુલ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોને મેરિટમાં સમાવેશ કરવો જોઇએ એવી પણ અરજદારોની રજુઆત છે.
પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં મેરીટ વાળા અનામત કેટેગરીના ઉમેદવારોનું જનરલ કેટેગરીમાં માઈગ્રેશન ના થઇ શકે, માત્ર મેઈન એક્ઝામમાં જ આ નિયમ લાગુ પડી શકે એવી પણ રજુઆત અરજદારો દ્વારાં કરાઈ છે. ભરતી બોર્ડે તમામ કેટેગરી મળીને 3 ગણા ઉમેદવારોનો મેરીટમાં સમાવેશ કર્યો હોવાની રજુઆત અને આ સાથે જનરલ કેટેગરીની બેઠકો જ ઓછી કરી દેવાઈ હોવાની પણ ફરિયાદ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. એક્સ આર્મીમેનને પણ આ ભરતી પ્રક્રિયામાં થયેલ અન્યાય મુદ્દે પણ હાઈકોર્ટમાં અરજદારોઍ રજુઆત કરી છે. હવે આજ મામલે 1 જૂનના રોજ આગામી સુનાવણી થવાની છે.