ગુજરાતમાં SGST વિભાગે પાંચ દિવસમાં 104 પેટ્રોલપંપ પર દરોડા પાડયા, 400 કરોડની ગેરરીતિ ઝડપી
જેમાં પાંચ દિવસ દરમ્યાન કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે રાજ્યભરના 104 પેટ્રોલપંપ દ્વારા વેટ રજીસ્ટ્રેશન વિના 400 કરોડનું વેચાણ કર્યું છે જેના પર મળવા પાત્ર વેરો રાજ્ય સરકારને મળ્યો નથી
ગુજરાત(Gujarat) માં SGSTવિભાગે 5મી ઓગસ્ટ દરમ્યાન રાજ્યભરના પેટ્રોલપંપ(Petrol Pump) પર પાડેલા દરોડામાં મોટી સફળતા મળી છે. રાજ્યભરમાં વિવિધ પેટ્રોલપંપ ના વેપારીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી વેટ રજીસ્ટ્રેશન વિના જ પેટ્રોલ-ડિઝલનું વેચાણ કરાતું હોવાનું SGST વિભાગને ધ્યાને આવ્યું હતું જેને કારણે રાજ્યભરમાં એક સાથે 104 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં પાંચ દિવસ દરમ્યાન કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે રાજ્યભરના 104 પેટ્રોલપંપ દ્વારા વેટ રજીસ્ટ્રેશન વિના 400 કરોડનું વેચાણ કર્યું છે જેના પર મળવા પાત્ર વેરો રાજ્ય સરકારને મળ્યો નથી.104 માંથી 27 પેટ્રોલપંપ પાસે તો VAT નમ્બર ન હોવાનું સામે આવ્યું છે જેમના દ્વારા 400 કરોડના પેટ્રોલ-ડીઝલના વેચાણ પર 64 કરોડનો વેરો ન ચૂકવીને પેટ્રોલપંપના માલિકો દ્વારા સરકાર સાથે છેતરપિંડી તેમજ નુકસાન કરવામાં આવ્યું છે.
જેને વસુલવા માટે SGST વિભાગ દ્વારા પેટ્રોલપંપના વેપારીઓની મિલકતો ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરી છે. 5 દિવસ દરમ્યાન કરવામાં આવેલી રેડ ની કામગીરી દરમ્યાન સૌથી વધુ સુરતના કેશરીનંદન પેટ્રોલપંપ દ્વારા સૌથી વધુ 62.48 કરોડનું વેચાણ વેટ રજીસ્ટ્રેશન વિના કર્યું છે ત્યારબાદ વલસાડના મારૂતિસાઈ પેટ્રોલિયમ દ્વારા 54.89 કરોડનું વેચાણ વેટ નમ્બર વિના કર્યું હોવાનું સામે આવ્યું છે.
સીધી રીતે ગેરરીતિ આચરી હોય એવા 27 પેટ્રોલપંપ પર હજુ દરોડાની કામગીરી યથાવત છે જેના અંતે મોટી કરચોરી સામે આવે તેવી શક્યતાઓ SGST વિભાગ દ્વારા સેવવામાં આવી છે.કોરોનાકાળ દરમ્યાન ગુજરાતના આશરે 80 હજાર જેટલા વેપારીઓના વેટ નંબર રદ કરવામાં આવ્યા હતા જેમને તેમનો વેપાર ઉદ્યોગ શરૂ કરવા માટે ફરીથી તેમના વેટ નંબર શરૂ કરાવવા જરૂરી હોય છે.
જો કે આ 104 પેટ્રોલપંપના માલિકો દ્વારા તેમના વેટ નંબર શરૂ કરાવ્યા વિના જ પેટ્રોલ-ડીઝલ નું વેચાણ ચાલુ રાખ્યું હતું જેને કારણે આવા પેટ્રોલપંપ પરથી આ સમયગાળા દરમ્યાન થયેલ પેટ્રોલ-ડીઝલના વેચાણ પણ સરકારને મળવા પાત્ર વેરો મળ્યો નથી જેને ધ્યાને લઈને રાજ્યના 104 પેટ્રોલપંપ પર દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી.
મહત્વનું છે કે પેટ્રોલિયમ કંપનીઓ પ્રથમ તબક્કાનો વેરો ભરપાઇ કરે છે.જેથી તેમને વેલ્યુ એડિશન ઉપર વેરો ભરવાનો થતો હોય છે દરોડા દરમ્યાન 27 પેટ્રોલપંપ દ્વારા વેલ્યુ એડિશન ઉપર વેરો ન ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં જો પેટ્રોલ પંપો અનરજીસ્ટર રહે તો તેમને રાજ્ય કરવેરા વિભાગ તરફથી મળતો વેરશાખનો લાભ મળવાપાત્ર રહેતો નથી.
દરોડા દરમ્યાન સૌથી વધુ ગેરરીતિ સૌરાષ્ટ્રમાં સામે આવી હતું. સૌરાષ્ટ્રના રાજકોટમાં 15, જામનગર માં 9, પોરબંદરમાં 5 પેટ્રોલપંપ દ્વારા ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું છે તો સુરતમાં 8 , વડોદરામાં 9, વલસાડમાં 4, ખેડામાં 7, અમદાવાદમાં 6, આણંદ-બનાસકાંઠામાં 4-4 અને અન્ય સ્થળો પર કુલ 29 એમ કુલ મળીને 104 પેટ્રોલપંપ પર સ્ટેટ GST વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો : Google Drive પર ડિલીટ થઇ ગયેલા ફોટોઝને રિસ્ટોર કરવા છે ? ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ
આ પણ વાંચો : ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી : સીએમ રૂપાણી