Gujarat Election 2022: રાજકીય નેતાઓનું ગુજરાત ભ્રમણ શરૂ, આપના વડા અરવિંદ કેજરીવાલ 6 જુને પરિવર્તન યાત્રાના સમાપન પ્રસંગે રહેશે હાજર
અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ગુજરાત પ્રવાસને લઇને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, છઠ્ઠી જુનના રોજ બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને તમામ પક્ષ પ્રચાર અને પ્રસારના મોડમાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) દ્વારા ગુજરાતના (Gujarat) દરેક ક્ષેત્રના મતદારો સુધી પહોંચી વળવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય નેતાઓ પણ એક પછી એક ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. હવે દિલ્લીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી 6 જુને અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે.
અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇને આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સુરત ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે માહિતી આપી હતી કે, છઠ્ઠી જુનના રોજ બપોરે ત્રણ વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોંચશે અને ત્યાંથી મહેસાણા ખાતે તિરંગા યાત્રાના સમાપન સમારોહમાં ભાગ લેશે.
ભાજપ-કોંગ્રેસથી લોકો કંટાળ્યા છે, પરિર્વતન નિશ્ચિત છેઃ ગોપાલ ઈટાલિયા
સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પર ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, દાયકાઓથી રાજ્યની જનતા પાસે ભાજપ અને કોંગ્રેસ સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે લાચારીને પગલે મતદારો ના છૂટકે આ બન્ને પાર્ટીને મત આપી રહ્યા હતા. જો કે હવે આમ આદમી પાર્ટીનો વિકલ્પ મળતાં ગુજરાતના મતદારો પરિવર્તન માટે તત્પર છે. ખૂબ જ ઓછા સમયમાં આમ આદમી પાર્ટી રાજ્યના લોકો સાથે વિશ્વાસ સંપાદન કરવામાં સફળ રહી છે. લોકો આપના વિચારો જ નહીં પરંતુ કામગીરીથી પણ પ્રભાવિત થયા છે.
રાજ્યમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા જનાધારને પગલે ભાજપના પેટમાં તેલ રેડાઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના ખુણે ખુણેથી આમ આદમી પાર્ટીની કામગીરીની પ્રશંસા કરવામાં આવી રહી છે. અત્યારે આપ દ્વારા ગુજરાતભરમાં સંગઠન પર મહત્તમ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામે તમામ બેઠકો પર ચૂંટણી લડશે. બદલાવની ભાવના સાથે જ લોકો દ્વારા આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું હોવાનો પણ તેમણે આ દરમ્યાન ઉલ્લેખ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, દાયકાઓ બાદ ગુજરાતના મતદારોને આપ પાર્ટીનો વિકલ્પ મળ્યો છે ત્યારે આ વખતે રાજ્યમાં બે દાયકા કરતાં વધુ સમયથી સત્તાના કેન્દ્ર સ્થાને રહેલ ભાજપને દુર કરવા માટે કટિબદ્ધ છે.