રાજ્યમાં પૂર્વ મંત્રીઓ (Ex-ministers) ધારાસભ્ય હોય તો અત્યાર સુધી ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલ સદસ્ય નિવાસમાં રહેતા હતા પરંતુ વિજય રૂપાણી સરકારમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને પડતા મુકવામાં આવેલ તેવા મંત્રીઓએ કવાટર્સ લેવાનો ઈન્કાર કરતાં અથવા કવાટર્સમાં ફાવતું ન હોવાથી કે કવાટર્સ ગમતું ન હોવાથી કે અન્ય જરૂરીયાતો સરકારી ખર્ચે વિશેષ સુવિધા સંતોષવા માટે નાગરીકોના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ (bungalows) નવી સરકાર દ્વારા તેમને ફાળવી દેવાનો નિર્ણય કર્યો હતો અને આ બધા પૂર્વ મંત્રીઓનો સરકારી બંગલા ફાળવ દેવામાં આવ્યા હતા.
રાજ્યમાં ભાજપના પૂર્વ મંત્રીઓ (1) નિતિન પટેલ (2) ભુપેન્દ્રસિંહ ચુડાસમા, (3) સૌરભભાઈ પટેલ (4)ગણપતસિંહ વસાવા (5) જયેશ રાદડિયા (6) ઈશ્વરભાઈ પરમાર (7) પ્રદિપસિંહ જાડેજા (8) પરસોત્તમભાઈ સોલંકી (9) જયદ્રથસિંહ પરમાર (10) ઈશ્વરસિંહ પટેલ (11) વાસણભાઈ આહીર (12) વિભાવરીબેન દવે (13) રમણલાલ પાટકર (14) ધર્મેન્દ્રસિંહ જાડેજા (15) કુંવરજી બાવળીયા વગેરેને “ક” અને “ખ” કક્ષાના બંગલાઓ (સરકારી આવાસો) ગાંધીનગરમાં પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને રાજ્ય સરકારની મંજૂરીથી માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઓકટોબર-2021માં જુદાંજુદાં- હુકમોથી આર્થિક ભાડા(ઈકોનોમી રેટ)ના મામુલી રૂ.4800/- ભાડાના દરથી પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી ફાળવવામાં આવ્યા છે.
રૂપાણી સરકારની વિદાય બાદ પૂર્વ મંત્રીઓને શૈક્ષણિક સત્રના બહાને સરકારી બંગલા ફાળવી દેવાયા છે, સંતાનોના અભ્યાસ બગડે નહીં, અધ્ધવચ્ચે શાળા-કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને પુર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે, આ ઉપરાંત મનીષ દોશીએ આક્ષેપ લગાવ્યો છે કે વાસ્તવમાં એકેય પુર્વ મંત્રીના સંતાનો ગાંધીનગરની શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી. ત્યારે અહીં એ પ્રશ્ન થાય તે સ્વાભાવીક છે કે અત્યારે તો આ ભાજપના પૂર્વ મંત્રીઓએ સંતાનોના અભ્યાસના બહાને સરકારી બંગલાઓ મેળવ્યા છે તે કયા પૂર્વ મંત્રીઓના કેટલા સંતાનો કઈ સરકારી શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો છે તે પણ જાહેર કરીને ભણતર માટે આકર્ષવા જોઈએ. રાજ્યના સામાન્ય નાગરીકોને સરકારી શાળાઓમાં ભણતર માટે આકર્ષવા જોઇએ.
કોંગ્રેસના મુખ્ય પ્રવકતા મનિષ દોશીએ એ પણ જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગ તા.31-5-2015ના ઠરાવ મુજબ આ બંગલાઓનું બજાર ભાડુ (માર્કેટ રેટ) દ્વારા રૂ.42,000/- નક્કી કરવામાં આવેલ છે. પૂર્વ મંત્રીઓ અત્યાર સુધી ધારાસભ્યોના નિવાસ/સદસ્ય નિવાસ(એમએલએ કવાટર્સ)માં રહેતાં. પરંતુ આ સરકારે “દલા તરવાડીની જેમ રીંગણા લઉં બે ચાર, લે ને દશ-બાર”ની જેમ પ્રજાની તિજોરીના નાણાનો વ્યય કરીને પૂર્વ મંત્રીઓ આલીશાન બંગલામાં જલસાઓ કરી રહ્યા છે. કેમ આ મંત્રીઓને મંત્રી પદેથી હટાવ્યા બાદ સદસ્ય નિવાસમાં રહીને પ્રજાની સેવા કરી શકતા નથી કે જાહોજલાલી ભોગવેલા મંત્રીઓને કવાટર્સમાં ફાવતું નથી ? તેમજ પુર્વ મંત્રીઓને મંત્રી કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે. ગુજરાતમાં શાંતિ અને સલામતી છે તેવું ભાજપ અને સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવે છે તો પછી મંત્રી કક્ષાની સીકયુરીટીની જરૂર કેમ રહે છે.
તેમજ બીજી બાજુ રાજ્યમાં હજારો કર્મચારીઓ સરકારી આવાસો મેળવવા વર્ષોથી રાહ જુએ છે, મકાનના અભાવે તેઓને સરકારી આવાસ ફાળવી શકાતા નથી. સરકારી આવાસ ન મળવાના કારણે ફીકસ પગારના કર્મચારી પગાર જેટલું તો ભાડું ભરવા મજબુર બને છે. ગરીબોને રહેવા માટે પુરતા આવાસો બનાવવામાં આવતા નથી. ત્યારે આવા ખર્ચાઓ અટકાવીને સરકારી કર્મચારીઓને તુરંત આવાસ મળે તેવી વ્યવસ્થા અને ચિંતા કરવી જોઈએ, નહીં કે પ્રજા પર વેરાઓ નાંખીને ઉઘરાવેલા ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલા સરકારી બંગલાઓ મામુલી દરે શૈક્ષણિક સત્રના બહાના હેઠળ પુર્વ મંત્રીઓને ફાળવવામાં આવેલ છે તે પુર્વ મંત્રીઓના બાળકો/સંતાનો શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી અને જો કોઈના પણ સંતાન અભ્યાસ કરતા હોય તો પણ પ્રર્વતમાન શૈક્ષણિક સત્રનો લાભ આપીને મામુલી આર્થિક ભાડાના દરથી સરકારી બંગલાઓ ફાળવવામાં આવેલ તે શૈક્ષણિક સત્ર પણ પુરું થઈ ગયું છે, તો આ બંગલાઓ તાત્કાલિક ખાલી કરાવીને પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ બંગલા અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાનો વ્યય તાત્કાલીક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે સાથોસાથ મંત્રી કક્ષાની સીકયુરીટી ચાલુ રાખવામાં આવેલ છે તે પણ નીયમ મુજબ પરત લેવાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા કોંગ્રેસ પક્ષે માંગ કરી છે.