Ahmedabad: રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓનું હલ્લાબોલ, જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રદર્શન
અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.
રાહુલ ગાંધી (Rahul Gandhi) ના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓએ અમદાવાદ (Ahmedabad) માં હલ્લાબોલ કર્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ રાહુલ ગાંધીને મોકલેલા સમન્સના વિરોધમાં દેશભરમાં કોંગ્રેસ (Congress) પ્રદર્શન કરી રહી છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જગદીશ ઠાકોરે કહ્યું કે પરિવર્તનની રાજનીતિના નામે સત્તામાં આવેલા લોકો બદલો લઈ રહ્યો છે. જગદીશ ઠાકોરે સત્તાપક્ષ કૉંગ્રેસના નેતાઓને ટાર્ગેટ કરતો હોવાનો આક્ષેપ કર્યો. તો સુખરામ રાઠવાએ પણ રાહુલ ગાંધીની વારંવાર હેરાનગતિ કરાતી હોવાની રજૂઆત કરી. અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્યો પરેશ ધનાણી, પૂંજા વંશ, વિરજી ઠુમ્મર, શૈલેષ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ જોડાયા છે.
જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે આ સરકાર ધારાસભ્યો ઉપર ખોટા કેસો કરે છે, ઉચ્ચ અધિકારીઓને દબાવે છે. પણ અહીંયા બેઠેલો એક પણ ધારાસભ્ય એમની દાદાગીરીને વશ નથી થતો. તેમણે કહ્યું કે આઝાદીના સમયમાં ગર્ભ શ્રીમંતોએ પોતાનું સર્વસ્વ મૂકી દીધું. અંગ્રેજોની સામે કોઈ કોંગ્રેસના સત્યાગ્રહીએ પીઠમાં ગોળી નથી ખાધી. ફાંસીના ફંદાને ચૂમીને ફાંસીએ ચઢતા હતા. આંદામાન નિકોબાર કાળા પાણીની સજામાં પણ જતા હતા. જ્યારે એક બીજો પક્ષ હતો કે અંગ્રેજોને કહેતો હતો કે આ કોંગ્રેસના લોકોને મારો. આજે રાહુલ ગાંધી આર.એસ.એસ. ના મૂળમાં મીઠું નાખે છે. જે સહન થતું નથી. પણ તેમણે ભૂલ કરી રાહુલ ગાંધી ઉપર હાથ નાખીને. ઇતિહાસ પર નજર કરી હોત તો ખ્યાલ આવી જાત કે આ ન કરવું જોઈએ.
તેમણે કહ્યું કે અમે ભાજપની 7 પેઢીઓને ઓળખીએ છીએ. ધર્મની શિખામણ અમને એ આપશે? દેશની ધરોહર સમાન એ પરિવાર એ વંશને લલકારવામાં આવી રહ્યા છે. અમે પરમિશન માંગી તો કહે કે હોલમાં પરમિશન આપીશું હોલ બહાર નહીં. કોઈ પણ બાબતે વિરોધ કરવો હોય તો પરમિશન નહીં. બાળકો ગુમ થાય તો પણ તપાસ ન થાય, એ તપાસ કરવાની જરૂર છે. ઓબીસી, એસ.સી., એસ.ટી. પ્રશ્નો માટે પરમિશન અપાથી નથી.
તેમણે કાર્યકર્તાઓને કર્યો સવાલ કર્યો કે રાહુલ ગાંધી ઇડીની ઓફિસમાંથી બહાર ન આવે ત્યાં સુધી ઘરે જવું છે કે નહીં? આપણને સૂચના ન મળે ત્યાં સુધી આપણે આગળ વધીશું. એ.આઈ.સી.સી. ના માર્ગદર્શન મુજબ આપણે આગળ વધીશું. કોંગ્રેસના અલગ અલગ રાજ્યના કાર્યકર્તાઓ આક્રોશમાં છે, પણ એ.આઈ.સી.સી. ની સુચના છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવું. અમારા કાર્યકર્તા ઉપર જો ખોટો કેસ થાય તો એ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરજો.