અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની માગ ફરી ઉઠી, ABVP દ્વારા ચલાવવામાં આવશે અભિયાન
તાજેતરમાં જ અમદાવાદમાં RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કક્ષાએ યોજાયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો રહ્યો હતો.
ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગ ફરી ઉઠી છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની માગ ઉઠાવવામાં આવી છે. તાજેતરમાં અમદાવાદમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી એબીવીપી હવે આ પ્રસ્તાવ અમદાવાદના મેયર અને કલેક્ટરને સોંપશે તેવો નિર્ણય લેવાયો હતો.
તાજેતરમાં જ અમદાવાદમાં RSSની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કક્ષાએ યોજાયેલા વિદ્યાર્થી ગૌરવ કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો અમદાવાદના નામકરણનો રહ્યો હતો. નવ ભારત ટાઇમ્સના રિપોર્ટ અનુસાર આ બેઠકમાં અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો પ્રસ્તાવ 500 વિદ્યાર્થીઓ વચ્ચે મુકાયો હતો. જે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
બેઠકમાં અભિયાન ચલાવવાનો લેવાયો નિર્ણય
નવ ભારત ટાઇમ્સના રિપોર્ટ અનુસાર એબીવીપી હવે આ પ્રસ્તાવ અમદાવાદના મેયર અને કલેક્ટરને સોંપશે તેવો બેઠકમાં નિર્ણય લેવાયો હતો. એબીવીપીના રાજ્ય મંત્રી યુતિ ગજરેએ જણાવ્યું હતું કે, પાંચસો વિદ્યાર્થીઓમાંથી અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. હવે તે દરખાસ્ત સંદર્ભે, અમે સંબંધિત અધિકારીઓને મળીશું અને નામ બદલવાની માગ કરીશું. ગજરેએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એકતા યાત્રા અમદાવાદ અને સુરત આવશે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ મુદ્દા પર પણ આમાં ચર્ચા કરવામાં આવશે. આ સિવાય ABVP લોકોને જાગૃત કરશે અને કર્ણાવતી નામકરણ માટે સમર્થન માંગશે.
અગાઉ પણ અનેક વાર ઉઠી નામ બદલવાની માગ
મહત્વનું છે કે આ પહેલા પણ અનેક વાર અમદાવાદનું નામ કર્ણાવતી રાખવાની માગ ઉઠતી રહી છે. 2018માં જ્યારે વિજય રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે આ માગ ઉઠી હતી. ત્યારે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે સરકાર શહેરનું નામ બદલવાની વિચારણા કરી રહી છે. અમદાવાદ દેશનું એકમાત્ર શહેર છે જે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સામેલ છે.
કર્ણદેવે આ શહેરનું નિર્માણ કર્યું
અમદાવાદનું નામ બદલવાની માગણી કરનારાઓ દલીલ કરે છે કે 1411માં જ્યારે મુસ્લિમ શાસક અહેમદ શાહે અહીં કબજો કર્યો ત્યારે તેણે તેનું નામ અમદાવાદ રાખ્યું. અમદાવાદનું સાચું નામ કર્ણાવતી છે. તેની પાછળનો તર્ક એ છે કે 11મી સદીમાં ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવે આશાવલ ભીલ નામના રાજાને હરાવીને વર્તમાન પ્રદેશ પર વિજય મેળવ્યો અને તેના નામ પરથી આ સ્થળનું નામ કર્ણાવતી રાખ્યું. તેથી તેનું નામ કર્ણાવતી હોવું જોઈએ.