AMCની ડીમોલેશન ડ્રાઇવને લઇને વિવાદ, કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ડીમોલેશન કાર્યવાહીનો કોંગ્રેસ ધારાસભ્યોનો આક્ષેપ
કોંગ્રેસના ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે ગેરકાયદે બાંધકામ તોડવાને બદલે કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું અને પોલીસ વિભાગ લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) ની ડીમોલેશન(Demolition) ડ્રાઇવને લઈને વિવાદ થયો છે. જેમાં કોર્પોરેશને 1 હજાર કરોડના 10 પ્લોટમાં થયેલા દબાણો એક અઠવાડિયામાં દૂર કર્યા છે. તેવા સમયે કોંગ્રેસના(Congress) ધારાસભ્યોએ આક્ષેપ કર્યો છે કે ગેરકાયદે બાંધકામ તોડવાને બદલે કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું અને પોલીસ વિભાગ લાખો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે.
ભાજપના સત્તાધીશોના ઈશારે એસ્ટેટ ખાતું કોંગ્રેસ સમર્થિત વિસ્તારોને જ ટાર્ગેટ કરે છે.છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન દ્વાર કોટ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર સનસનાટીભર્યા આક્ષેપો કર્યા છે.
આ પત્રમાં કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ સામે હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાના આક્ષેપ કર્યાં છે.નાગરિકોને ગેરકાયદે બાંધકામ ન કરવા પડે તે રીતે નિયમો લાગુ કરવાને બદલે કોર્પોરેશન એસ્ટેટ-ટીડીઓ ખાતાનાં અધિકારીઓ જ ગેરકાયદે બાંધકામો કરનારાઓને પ્રોત્સાહિત કરી રહ્યાં છે.
શહેરમાં હાલ આઠ લાખ કરતાં વધુ ગેરકાયદે બાંધકામો છે તે તમામ સામે એક સમાન કાર્યવાહી કરવાને બદલે મ્યુનિ.એસ્ટેટ ટીડીઓ ખાતુ ફક્ત કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં જ ડીમોલેશનની કામગીરી કરી રહ્યું છે.મધ્ય ઝોનમાં શાહપુર, દરિયાપુર, કાલુપુર, જમાલપુર, રખિયાલ, ઓઢવ જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો અને કાઉન્સિલરો છે ત્યાં જ ડીમોલેશનની કામગીરી થાય છે.શહેરના અન્ય ઝોનમાં કોઈ કામગીરી થતી નથી.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે અધિકારીઓ ગેરકાયદે બાંધકામ શરૂ થાય ત્યારે જ અટકાવવાને બદલે એસ્ટેટ ખાતુ ગેરકાયદે બાંધકામ થવા દે છે અને પછી તેમાંથી મોટી રકમની તોડબાજી કરીને ગેરકાયદે બાંધકામને બચાવવાનાં રસ્તા બતાવે છે. જે લોકો એસ્ટેટ ખાતાનાં અધિકારીઓને મોટી રકમ ના આપી શકે તેવાના નાના બાંધકામ તોડી પાડવામાં આવે છે અને દેખાડો કરવામાં આવે છે.
પોલીસ પણ ગેરકાયદે બાંધકામનાં સીલ તોડનાર સામે કાર્યવાહી કરવી કે ના કરવી તેનાં તેમજ તોડવા માટે બંદોબસ્ત આપવો કે ના આપવો તેમાંથી લાખો રૂપિયાનાં હપ્તા ઉઘરાવતી હોવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડવાળાએ જણાવ્યું હતું કે ભાજપના સત્તાધીશોના ઈશારે કોર્પોરેશનનું એસ્ટેટ ખાતું કોંગ્રેસ બહુમતી વિસ્તારોમાં કિન્નખોરી રાખી દબાણો દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે.ગેરકાયદે બાંધકામ બંધ કરાવવા અધિકારીઓ અને એસ્ટેટ વિભાગની જવાબદારી નક્કી કરતી નીતિ બનાવવાની માંગ કરી છે .
શહેરમાં 8 લાખથી વધુ ગેરકાયદે બાંધકામો તોડવા તમામ ઝોનમાં એકસાથે કાર્યવાહી કરવા અને કોંગ્રેસ સમર્થિત વિસ્તારોમાં થતી ડીમોલેશનની પક્ષપાતપૂર્વકની કાર્યવાહી બંધ કરવા માંગ કરી છે.
કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કોંગ્રેસના ધરાસભ્યોના આક્ષેપને ફગાવી દીધા છે.ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે જ્યાં પણ ગેરકાયદે બાંધકામ છે ત્યાં સાતે સાત ઝોનમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.કોર્પોરેશન દ્વારા 800થી 1000 કરોડ રૂપિયાના પ્લોટ ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કરી ખુલ્લા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા સીએમ રૂપાણી, શહેરી વિકાસને વેગ મળશે
આ પણ વાંચો : Teacher’s Day : ભુજના અનોખા શિક્ષક, જેમણે કોરોનાકાળમાં પણ અંતરિયાળ ગામમાં જઈને શિક્ષણ આપ્યું