ભરતસિંહે સ્વીકાર્યો કામ ચલાઉ વનવાસ ! રાજકારણથી થોડો સમય દૂર રહેવાની કરી જાહેરાત
ભરતસિંહ સોલંકીએ (Bharatsinh Solanki) જણાવ્યુ કે કોંગ્રેસમાં (Congress) જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ હવે તોડી મરોડીને વાતોને રજુ કરવામાં આવે છે.
ગુજરાતની ચૂંટણી (Gujarat Election) આવતા જ કોંગ્રેસ (Congress) નેતા ભરતસિંહ સોલંકીના (Bharatsinh Solanki) વિવાદોમાં સપડાયા છે. આ વચ્ચે ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી જાહેરાત કરી છે. ભરતસિંહ સોલંકીએ સક્રિય રાજનીતિમાંથી થોડો સમય બ્રેક લેવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ છે કે હું બે-ચાર કે છ મહિના સુધી રાજકારણથી દુર રહીશ અને ત્યારબાદ આગળનો નિર્ણય લઇશ.
જો કે ભરતસિંહે આ જાહેરાત સાથે એમ પણ જણાવ્યુ કે સામાજીક કામો જેમ કે ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, આદિવાસી, દલિત, લધુમતિ કોમ તેમના પ્રચાર પ્રસારમાં આજે જે સમય આપ્યો છે. તેના કરતા વધુ સમય આપીશ. તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ સ્થળે ફરી ત્યાંના યુવાનો ત્યાનાં સંગઠનોને એકઠા કરી એક મજબૂત તાકાત ઊભી કરવાનો પ્રયત્ન કરીશ.
ભરતસિંહ સોલંકીએ તેમને લઇને થતા વિવાદોને રાજકીય સંડોવણી જણાવી છે. તેમણે જણાવ્યુ કે અમારા પરિવારને વર્ષોથી ગરીબ, દલિત, આદિવાસી અને ઓબીસી સમાજ દ્વારા ખૂબ જ પ્રેમ અને આશીર્વાદ મળતા રહ્યા છે. ત્યારે કેમ કરીને ચૂંટણી પહેલા ભરતસિંહ સોલંકીને નીચા પાડી દો તો ઓટોમેટીક રાજકીય રીતે બીજા પક્ષ આગળ આવી શકે તેનો પ્રયાસ છે.
ભરતસિંહે જણાવ્યુ કે ચૂંટણી આવતા લોકોનું મન મોંઘવારી, બેકારીથી, પીવાના પાણીથી, ભ્રષ્ટાચારથી, ગેરવહીવટથી અને બધાથી હટાવવાનું આ ષડયંત્ર છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે, મારે મારા ચરિત્રને લઇને કોઇ સ્પષ્ટતા કરવાની જરુર નથી. મારી પાસે પુરાવા છે જેનાથી હું બધુ જ સ્પષ્ટ કરી શકુ એમ છુ. જો કે આ પુરાવા અહીં આપવાનો કોઇ મતલબ નથી. હું આ પુરાવા કોર્ટમાં રજુ કરીશ. કેમ કે કોર્ટ જ આ અંગેનો ન્યાય કરે છે. હવે કોર્ટ જ નિર્ણય કરશે કે આ અંગેનો શું નિર્ણય કરવો.