10 લાખ યુવાનોને રોજગારી અને આર્મીમાં ભરતીના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસે ચૂંટણીલક્ષી ગણાવ્યો
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રના નિર્ણયને ભ્રામક જાહેરાત સાથે સરખાવ્યો છે અને સવાલ કર્યો છે કે કેન્દ્ર સરકારે કરેલા 2 કરોડ રોજગારીના વાયદાનું શું થયું?
PM મોદી (PM Modi) એ આગામી 1.5 વર્ષમાં 10 લાખ નોકરીની તકો અંગે જાહેરાત કરી છે. જોકે આ બાબતને કોંગ્રેસે (Congress) ચૂંટણી સાથે જોડ્યો છે. 10 લાખ યુવાનોને રોજગારી અને આર્મીમાં ભરતીના કેન્દ્ર સરકારના નિર્ણયને કોંગ્રેસે ચૂંટણીલક્ષી ગણાવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્રના નિર્ણયને ભ્રામક જાહેરાત સાથે સરખાવ્યો છે અને સવાલ કર્યો છે કે કેન્દ્ર સરકારે કરેલા 2 કરોડ રોજગારીના વાયદાનું શું થયું? જગદીશ ઠાકોરનો આરોપ છે કે સેનામાં આઉટસોર્સિંગ દ્વારા ભરતી દેશની સુરક્ષા માટે જોખમી બની શકે છે. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે સમગ્ર દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. કાયદો વ્યવસ્થા તૂટી પડી છે. જ્યાં જુઓ ત્યાં અરાજકતા ઉભી થઇ છે. સમગ્ર દેશ દુઃખી થઈ ગયો છે. પેટ્રોલ ડીઝલ કરીયાણું, શાકભાજી દૂધ મોંઘુ થઈ રહ્યું છે. દિવસે દિવસે સતત વધી રહી છે મોંઘવારી, બાળકોને અભ્યાસ કરાવવા માટે શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે. આ મુદ્દાઓને ભટકવવા માટે ભાજપ દેશની અને રાજ્યની સરકાર જે મુદ્દો ન હોય તેવા મુદ્દાઓને ઉભા કરી જનતાને ભ્રમિત કરી રહ્યા છે. EDની નોટિસ આપી રાહુલ ગાંધી ગઈકાલે પણ ગયા હતા આજે પણ ગયા છે પરંતુ મૂળ મુદ્દાઓની ચર્ચા ન થાય. મોંઘવારી બેરોજગારી કાયદો વ્યવસ્થા કથળતી જાય આ મુદ્દાઓને ભટકવવા માટે કોંગ્રેસને ડરાવવાની મથામણ કરી રહી છે. પરંતુ ભાજપને ઇટ નો જવાબ પથ્થરથી કોંગ્રેસ આપશે અને તેના માટે થઈ કોંગ્રેસના કાર્યકરો આજે ધરણાં પર બેઠા છે.
આ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશીએ પણ એ પણ પીએમ મોદીના આ નિર્ણય પર પ્રહારો કરતાં કહ્યું કે આ ‘કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના’ જેવો જુમલો છે. 2014 માં ચૂંટણી જીતવા માટે મોદી સરકારે વાયદો કર્યો અને 2 કરોડ નોકરી આપવાની વાત કરી હતી. પણ વાસ્તવિકતા છે કે 14 કરોડથી વધુ લોકોએ પોતાના રોજગાર ગુમાવ્યા છે. 90 ટકાથી વધુ લોકોની આવકમાં ઘટાડો થયો એ મોદી સરકારની મોટી સિદ્ધિ છે. રેલવેના 56 હજાર કરતા વધુ પદોને નાબૂદ કરી દીધાં છે અને જુદી ભરતી માટેના 700 કરોડ રૂપિયા યુવાનોને પરત નથી આપવામાં આવ્યા. આ સરકારે દેશના નફો કરી રહેલા 19 જેટલા જાહેર સહસોને વેચી દીધાં છે. પોતાના માનીતા ઉદ્યોગપતિઓને રોજગારી આપી દીધી છે. સૌથી દુઃખદાયક રાષ્ટ્રવાદી સરકાર આર્મ ફોર્સીસમાં પણ આઉટસોર્સીગ કર્યું. મોદીજીની સરકારમાં રૂપિયાનું અવમૂલ્યન પણ મોટા પાયે થયું છે. આજે ટ્વિટ કરીને 10 લાખ રોજગાર આપવાની વાત કરી છે પણ 2014 સુધીમાં કેટલી નોકરીઓ હતી અને કેટલા પદો ખાલી હતા એ જાહેર કરે. 15 લાખના જુમલાની જેમ 10 લાખ રોજગારીનો જુમલો આવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે દેશના યુવાનો અને એમની જિંદગી સાથે રમત રમવાનું બંધ કરો.