અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો, ઝાડા-ઉલ્ટી, કમળા, ટાઈફોડના સહિતના કેસ નોંધાયા
ભારે ગરમીને કારણે અમદાવાદ (Ahmedabad) શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરના દાણીલીમડા, ગોમતીપુર, કોટ વિસ્તાર, કુબેરનગર અને સરસપુરમાં સૌથી વધુ પાણીજન્ય કેસ નોંધાયા છે.
ગુજરાતમાં (Gujarat) ઉનાળાની (Summer) કાળઝાળ ગરમી (Heat) પડી રહી છે. આકાશમાંથી જાણે અગનગોળા વરસતા હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે. ગરમીના પગલે ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં (Ahmedabad) હાલ ગરમી અને પાણીના કારણે થતા રોગચાળાએ માઝા મુકી છે. અમદાવાદમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદની હોસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો
ભારે ગરમીને કારણે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અમદાવાદ શહેરના દાણીલીમડા, ગોમતીપુર, કોટ વિસ્તાર, કુબેરનગર અને સરસપુરમાં સૌથી વધુ પાણીજન્ય કેસ નોંધાયા છે. આંકડાની વાત કરીએ તો ઝાડા-ઉલ્ટીના 395 કેસ, કમળાના 48 અને ટાઈફોડના 111 કેસ નોંધાયા છે. તો સાથે જ મેલેરિયાના 49 અને ડેન્ગ્યુના 7 કેસો નોંધાયા છે. પ્રદુષિત પાણીને કારણે ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મહાનગરપાલિકાનું તંત્ર સતર્ક બન્યું છે અને વિવિધ વિસ્તારોમાંથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે. મનપાના આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે ચાલુ માસમાં મનપાએ પાણીના 796 સેમ્પલ લેવામાં આવ્યા છે.
લોકોને સાવચેતી રાખવા અપીલ
બીજી તરફ ગરમીને કારણે પણ અમદાવાદમાં બીમારીઓ વધી રહી છે. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. સાથે કામ સિવાય લોકોને બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ બહારનો ખોરાક તેમજ પીણાનું સેવન ટાળવા પણ સૂચન કરવામાં આવ્યુ છે.
બે દિવસ બાદ વધશે ગરમી
બીજી તરફ હવામાન વિભાગે આગામી બે દિવસ ગુજરાતમાં લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી બે દિવસ રાજ્યમાં સામાન્ય ગરમી રહેશે. જો કે બે દિવસ બાદ ફરી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે ચઢશે. 48 કલાક બાદ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
19 અને 20 મેના રોજ અમદાવાદમાં હીટવેવ રહેશે. તો બીજી તરફ ચોમાસાને લઇને લઇ હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધી થઇ શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે.