દેવામાં ડૂબેલા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન પર ભાજપનો કબજો, 2022થી ફરી ધિરાણ આપશે
2022 સુધીમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક મકાનોના બાંધકામ માટે હાઉસિંગ સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં મંડળીઓને ફરીથી ધિરાણ આપવાની શરૂઆત કરવામાં આવશે.સરકારની યોજનાઓનો લાભ ફરીથી આપવામાં આવશે.
તાજેતરમાં ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના 35 ડિરેક્ટરોની ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપે કબજે કરી હતી. જેમાં 35 ડિરેક્ટરોની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોને મેન્ડેટ આપ્યા હતા. તેમજ 35 માંથી 32 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે 3 ડિરેક્ટરોની ચૂંટણી થઈ હતી જેમાં ભાજપ ઉમેદવારો ચૂંટાયા હતા.
આમ તમામ ડિરેક્ટરો ભાજપના મેન્ડેટ પર ચૂંટાયા હતા.આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે ડિરેક્ટરોની બેઠક મળી હતી. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે ભાજપે દેવરાજ ચીખલીયા અને હરેશ દેસાઈને મેન્ડેટ આપ્યો હતો.આ બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ હતી. તેમજ ચેરમેન તરીકે દેવરાજ ચીખલીયાની નિમણૂક કરાઈ હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે હરેશ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે.
સંસ્થા ઉપર કરોડોનું દેવું, 2600 કરોડનું દેવું સરકારે માફ કર્યું
હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનમાં અણઘડ વહીવટને કારણે સંસ્થા દેવામાં ડૂબી ગઈ છે.દેવામાં ડૂબી જતાં છેલ્લા કેટલાક વર્ષોથી ધિરાણ આપવાનું બંધ કરવામાં આવ્યું છે..છેલ્લા ચાર વર્ષથી ભાજપની વિચારધારવાળા લોકો સંસ્થા ચલાવે છે. આ સંસ્થાને દેવા મુક્ત કરવા સરકારે 2600 કરોડનું દેવું માફ કર્યું છે.હાલ સંસ્થા ઉપર 32 કરોડનું દેવું છે.આગામી 6 મહિનામાં આ કોર્પોરેશનને દેવા મુક્ત કરવામાં આવશે.
200 કરોડની રિકવરી કરવાની બાકી
સંસ્થાએ વિવિધ હાઉસિંગ સોસાયટીઓને આપેલ ધિરાણની રિકવરી માટે પ્લાન બનાવવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા હાઉસિંગ સોસાયટીઓને આપેલ 200 કરોડ રૂપિયા પરત મળ્યા નથી.ત્યારે વ્યાજનું વ્યાજ માફ કરીને રિકવરી કરવાની શરૂઆત કરવામાં આવી છે.2022 સુધીમાં કોર્પોરેશન દ્વારા રહેણાંક મકાનોના બાંધકામ માટે હાઉસિંગ સોસાયટીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં મંડળીઓને ફરીથી ધિરાણ આપવાની શરૂઆત કરવામાં આવશે.સરકારની યોજનાઓનો લાભ ફરીથી આપવામાં આવશે.
સરકારે 2600 કરોડનું દેવું માફ કરતા આ સંસ્થા ફડચામાં જતી બચી
ભાજપના સહકાર સેલના ચેરમેન બિપિન પટેલે જણાવ્યું હતું કે હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન અત્યાર સુધી દેવામાં ડૂબેલું હતું.પરંતુ હવે આ કોર્પોરેશનને ફરીથી લોકો માટે કાર્યરત કરવામાં આવશે.આ સંસ્થાનું 2600 કરોડનું દેવું માફ કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજુઆત કરી હતી. સરકારે 2600 કરોડનું દેવું માફ કરતા આ સંસ્થા ફડચામાં જતી બચી ગઈ છે અને નવજીવન મળ્યું છે.
ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનના નવા નિમાયેલા ચેરમેન દેવરાજ ચીખલીયાએ જણાવ્યું હતું કે 6 મહિનામાં સંસ્થા દેવમુક્ત થઈ જશે હાલ 32 કરોડનું દેવું છે.અગાઉ આપેલા ધિરાણની રિકવરી થઈ રહી છે.કોરોનાને કારણે રિકવરી પર અસર પડી છે.પરંતુ 2022 સુધીમાં સંસ્થા દ્વારા ફરીથી સામાન્ય લોકોને ઘર બનાવવા માટે ધિરાણ આપવાની શરૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો :Gujarat માં મોસમનો કુલ 50 ટકા વરસાદ નોંધાયો, ત્રણ વર્ષની સરેરાશ સામે 95 ટકા વિસ્તારમાં વાવેતર
આ પણ વાંચો : સાવધાન : પાણીપુરીનો ચસ્કો પડી શકે છે ભારે, લેબોરેટરી તપાસમાં આ ખતરનાક બેક્ટેરીયા મળ્યો