GUJARAT UNIVERSITY : B.COM. SEM-5ની હોલ ટીકીટમાં છબરડા, વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા પણ પરીક્ષા કેન્દ્રો પર તાળા હતા
પહેલા પણ પરીક્ષાની હોલ ટિકીટમાં છબરડો સામે આવ્યો હતો.વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં વિદ્યાર્થીનીઓના ફોટાવાળી હોલ ટિકિટો આપવામાં આવી હતી.જેના કારણે યુનિવર્સિટીને હોલ ટિકિટો પરત ખેંચી ફરીથી આપવાની ફરજ પડી હતી.
AHMEDABAD : B.COM. SEM-5ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીની લાલીયાવાડી સામે આવી છે.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને હોલ ટિકીટમાં પરીક્ષાની આજની એટલે કે 20 ઓગષ્ટની તારીખ આપવામાં આવી હતી.પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા તો પરીક્ષા કેન્દ્રો બંધ હતા.આજે જાહેર રજા હોવાને કારણે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. પરંતુ આજે પરીક્ષા રદ્દ કરી હોવાની જાણ વિદ્યાર્થીઓને ન કરવામાં આવતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા.પરીક્ષા સેન્ટર પર પહોંચતા વિદ્યાર્થીઓને જાણ થઈ કે આજે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.સુરત, પાલનપુર સહિતના વિસ્તારો માંથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યા હતા.પરંતુ યુનિવર્સિટીની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીએ આપેલી હોલ ટીકીટ મુજબ આજે બપોરે 12 વાગ્યે બીકોમ B.COM. SEM-5ના રિપીટર વિદ્યાર્થીઓનું ફંડમેન્ટલ સ્ટેટેસ્ટીકનું પેપર હતું.વિદ્યાર્થીઓની હોલ ટીકીટ મુજબ પરીક્ષા આજે યોજવાની હતી.પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોએ જોયા વિના જ જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી દીધી હતી.જાહેર રજા હોવાને કારણે પાછળથી યુનિવર્સિટીને પરીક્ષા રદ્દ કરવાની ફરજ પડી હતી…પરંતુ પરીક્ષા રદ્દ કરી હોવાની નોટીસ કે જાણ વિદ્યાર્થીઓને કરવામાં ન આવી.જેના કારણે વિદ્યાર્થીઓને મળેલી હોલ ટિકિટના આધારે વિદ્યાર્થીઓ જે તે પરીક્ષા સેન્ટરો ખાતે પરીક્ષા આપવા પહોંચ્યા હતા.
બીજી તરફ રદ્દ કરેલી આજની પરીક્ષા હવે ક્યારે લેવામાં આવશે તે અંગે પણ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કોઈ નોટીસ કે જાણ કરાઈ નથી અને આ બાબતે પરીક્ષા કેન્દ્રોની બહાર પણ કોઈ નોટીસ મુકવામાં આવી નથી.જેને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણમાં વધારો થયો છે.વિદ્યાર્થીઓને હવે નવી તારીખની હોલ ટીકીટ આપવામાં આવશે કે જૂની હોલ ટીકીટ મુજબ આજનું પેપર ક્યારે લેવાશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે.
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં વારંવાર છાબરડાઓ થાય છે,પરંતુ યુનિવર્સિટીના કુલપતિ, રજીસ્ટ્રાર કે પરીક્ષા નિયામક દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જેના કારણે પરીક્ષાઓમાં છાબરડાઓ થવાનો સિલસિલો આજે પણ યથાવત છે.પહેલા પણ પરીક્ષાની હોલ ટિકીટમાં છબરડો સામે આવ્યો હતો.વિદ્યાર્થીઓની હોલ ટિકીટમાં વિદ્યાર્થીનીઓના ફોટાવાળી હોલ ટિકિટો આપવામાં આવી હતી.જેના કારણે યુનિવર્સિટીને હોલ ટિકિટો પરત ખેંચી ફરીથી આપવાની ફરજ પડી હતી.
ત્યાર બાદ BA SEM-5ની પરીક્ષાના પેપરમાં છબરડો સામે આવ્યો હતો.વિદ્યાર્થીઓને SEM-5ને બદલે SEM-4ના પેપરો આપવામાં આવ્યા હતા….હવે ફરીથી જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું અને રાતોરાત પરીક્ષા રદ્દ કરવામાં આવી.વારંવાર પરીક્ષામાં થતા છાબરડાઓ અંગે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો કઈ કહેવા તૈયાર નથી.