ભુપેન્દ્ર પટેલ સરકારને આજે એક વર્ષ થયુ પૂર્ણ, રાજ્ય સરકાર દ્વારા ‘વિશ્વાસથી વિકાસ’ના સૂત્ર હેઠળ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે
આજથી એક વર્ષ પહેલા 12 સપ્ટેબરે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નામની જાહેરાત કરવામાં આવી હતી.
ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારનું આજે 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેની ત્રિદિવસીય ઉજવણી (Celebration) શરૂ કરી દેવાઈ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારને 1 વર્ષ પૂર્ણ થવા પર રાજ્યમાં 3 દિવસ સુધી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નવા પ્રોજેક્ટ ખાતમુહૂર્ત અને કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. જ્યારે તમામ પ્રધાનોને જિલ્લાના વિવિધ વિસ્તારમાં મોકલીને અનેક કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. સાથે જ ભુપેન્દ્ર સરકારના એક વર્ષ પૂર્ણ થવા પર ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) વર્ચ્યુઅલી જોડાશે. તો CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કાર્યક્રમમાં હાજર રહેશે.
13 સપ્ટેમ્બરે એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા ‘વિશ્વાસથી વિકાસ’ના સૂત્ર હેઠળ એક વર્ષની ઉજવણી કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યપ્રધાન 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. ‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ હેઠળ 4 હજાર 500 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. આવતીકાલે જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાશે અને 15 સપ્ટેમ્બરે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.
એક વર્ષમાં ભૂપેન્દ્ર પટેલ સરકારે લીધેલા મહત્વના નિર્ણય
- મુખ્યમંત્રી કાર્યાલયના દરવાજા સામાન્ય જનતા માટે ખોલ્યા
- સોમવાર – મંગળવાર એમ 2 દિવસ મંત્રીઓએ ફરજિયાત લોકોને સાંભળવા
- મંત્રીઓ સાથે અધિકારીઓને પણ જન પ્રતિનિધિઓને સાંભળવા સિસ્ટમ ઉભી કરી
- મંત્રીઓના PA-PSમાં નો રીપીટ થીયરીનો અમલ
- વર્ષો જૂની પૂર રાહત સહાયના નિયમો બદલી વળતરમાં વધારો કર્યો
- સરકારી કર્મચારીઓના બદલીઓના નિયમોમાં કર્યો બદલાવ
- પહેલીવાર રાજય સરકારના બજેટમાં મોટા પ્રોજેકેટસના બદલે નાના વર્ગને આવરી લેતી જાહેરાતો કરી
- સગર્ભા મહિલાઓ માટે 270 દિવસની પોષણ સુધા યોજના
- તમામ નાગરિકો માટે નીરામય ગુજરાત અભિયાનની શરૂઆત
- ચોમાસા દરમિયાન ડીઝાસ્ટર મેનેજમેન્ટના યોગ્ય પ્લાનીંગથી માનવ ક્ષતિથી થતા મૃત્યુ અટક્યા
- ઘરે બેઠા ઓનલાઈન FIRને મંજૂરી
- પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપ્યો, ડાંગમાં 100% પ્રાકૃતિક ખેતીનો અમલ
ભુપેન્દ્ર પટેલનું જીવન
15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલે ધો. 12 પાસ સુધી જ અભ્યાસ કરેલો છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારના રહેવાસી છે. તેઓ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના નામથી જાણીતા છે. વર્ષ 2021માં 12 સપ્ટેમ્બરે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) નામની જાહેરાત થઈ હતી અને 13 સપ્ટેમ્બરે તેમણે મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. જોકે, તેમને મુખ્યપ્રધાન તરીકે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપ પક્ષ દ્વારા તેની ઉજવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કારકિર્દી
- 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
- વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા
- 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા
- 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા
- 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો હતો