ઓગસ્ટ સુધીમાં વંદે ભારત ટ્રેનના બીજા તબક્કાની શરૂઆત થશે: અશ્વિની વૈષ્ણવ
વૈષ્ણવે કહ્યું, “ચીને બનાવેલી પ્રથમ બુલેટ ટ્રેન સેક્શન બેઇજિંગ અને તિયાનજિંગ વચ્ચે 113 કિલોમીટરનું હતું. અમદાવાદ અને વાપી વચ્ચેનો અમારો વિભાગ 352 કિલોમીટરનો છે.”
2019 માં શરૂ કરાયેલી બે વંદે ભારત ટ્રેનો (Vande Bharat Train) એ 14 લાખ કિલોમીટરની મુસાફરી કરી છે અને પોતાને “સાબિત” કરી બતાવ્યું છે. તો તેને લઇને કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) મંગળવારે કહ્યું કે, ભારતીય રેલ્વે ઓગસ્ટ 2022માં સેમી હાઈ સ્પીડ ટ્રેનનું અપગ્રેડેડ સેકન્ડ વર્ઝન લોન્ચ કરશે. ગાંધીનગર ખાતે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (EDII) ખાતે મીડિયા સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “વંદે ભારત ટ્રેન માટેની યોજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા 2017 માં આપવામાં આવી હતી અને પ્રથમ બે ટ્રેનો 2019 માં કાર્યરત થઈ હતી. અત્યાર સુધી બંને ટ્રેનોએ 14 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. ગયા વર્ષે વધુ 75 ટ્રેનોને મંજૂરી આપવામાં આવી છે જેનું ઉત્પાદન ચાલુ છે. ભારતીય રેલ્વે નવી દિલ્હીથી વારાણસી અને નવી દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા સુધી વંદે ભારત એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે.
વંદે ભારત ટ્રેનના બીજા અને ત્રીજા તબક્કામાં વધુ સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેન હાલમાં 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને બીજું વર્ઝન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને ટ્રેનનું ત્રીજું વર્ઝન 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
“અમે ઓગસ્ટ 2022 માં વંદે ભારત 2 ટ્રેન અથવા ટ્રેનોના બીજા સંસ્કરણની શરૂઆત કરીશું,” તેમણે ઉમેર્યું હતું કે લોન્ચ થયા પછી દર મહિને પાંચ-છ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વૈષ્ણવે ઉમેર્યું, “વંદે ભારતના બીજા સંસ્કરણમાં એર સ્પ્રિંગ્સ હશે અને તે રાઈડની ગુણવત્તામાં અનેકગણો સુધારો કરશે.”
મંત્રીએ કહ્યું કે, એકવાર 75 વંદે ભારત ટ્રેનોની પ્રથમ બેચ શરૂ થઈ જશે ત્યાર બાદ ભારતીય રેલ્વે વધુ ટ્રેનો લોન્ચ કરશે. તેમણે ઉમેર્યું કે, “સૂચિત 400 ટ્રેનોમાંથી લગભગ 250 વંદે ભારત ટ્રેનનું બીજું વર્ઝન હશે અને ત્યાર બાદ ત્રીજું વર્ઝન રજૂ કરવામાં આવશે.”
સ્ટાર્ટ-અપ્સ પર વાતચીત માટે EDII ખાતે આવેલા રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનો નવા રૂટ પર ચલાવવામાં આવશે અને કેટલીક જગ્યાએ તે હાલની ટ્રેનોનું સ્થાન લેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, “બુલેટ ટ્રેન 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં 55 સેકન્ડ લે છે. આવી જ ટેક્નોલોજી આ ટ્રેનોમાં લગાવવામાં આવી છે અને તેને ભારતમાં ડિઝાઇન કરવામાં આવી છે. 0-100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવામાં માત્ર 54 સેકન્ડ લાગે છે.”
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે વાત કરતાં વૈષ્ણવે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં નવી સરકાર સાથે પ્રોજેક્ટ ઝડપ મેળવશે. તેમણે ઉમેર્યું કે, “મહારાષ્ટ્રમાં અગાઉની સરકાર આ પ્રોજેક્ટની તરફેણમાં ન હતી. પરંતુ હવે સરકાર બદલી છે. પ્રગતિ થશે.”
“બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સારી પ્રગતિ થઈ રહી છે. અત્યાર સુધીમાં વાપી-અમદાવાદ સેક્શન પરના રૂટના 70 કિલોમીટરના થાંભલાઓ બનાવવામાં આવ્યા છે. આ વિભાગ પર કામ સૌ પ્રથમ શરૂ થયું હતું. કારણ કે અમને જમીન મળી ગઇ હતી. આ વિભાગમાં 160 કિલોમીટર પર થાંભલાઓ માટે પાયો નાખવામાં આવ્યો છે,” તેમણે કહ્યું કે 8-9 પુલ અને સ્ટેશનો પર પણ કામ ચાલી રહ્યું છે.
તેમણે કહ્યું કે, “સુરતથી બિલીમોરા સુધીનો પ્રથમ બુલેટ ટ્રેન સેક્શન 2026 સુધીમાં કાર્યરત થવાનો લક્ષ્યાંક છે. ચીન દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ બુલેટ ટ્રેન સેક્શન બેઇજિંગ અને તિયાનજિંગ વચ્ચે 113 કિલોમીટરનું હતું. અમદાવાદ અને વાપી વચ્ચેનો અમારો વિભાગ 352 કિલોમીટરનો છે.”
સ્ટેશનનો પુનઃવિકાસ
મંત્રીએ કહ્યું કે 370 સ્ટેશનો વિકસાવવા માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે અને 45 સ્ટેશનો માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગર, ભોપાલ અને બેંગલુરુ ખાતે સ્ટેશનના પુનઃવિકાસ માટેના પાયલોટ પ્રોજેક્ટ્સમાંથી ઘણા નવા રિડેવલપમેન્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, નવસારી, રાજકોટ, વાપી, ભરૂચ, બીલીમોરા, આણંદ, નડિયાદ, અંકલેશ્વર, ઉધના, ગાંધીધામ, પાલનપુર, જામનગર અને નવા ભુજ એવા 16 સ્ટેશન હશે જેનો પુનઃવિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડનગર સ્ટેશન પર નવું સ્ટેશન બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે અને વડોદરા નજીક છાયાપુરીને નવા સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.