Ahmedabad: મોંઘવારીનો વધુ એક માર, રાંધણગેસમાં ફરી ભાવ વધારો થતાં ગૃહિણીઓમાં રોષ
રાંધણગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયાના વધારા સાથે 999.50 રૂપિયે પહોંચી જતાં મહિલાઓમાં નારાજગી વ્યાપી છે.
રાજ્યવાસીઓ પર મોંઘવારી (inflation) નો વધુ એક માર પડ્યો છે. રાધણગેસ (LPG GAS) ના સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. આ ભાવ (price) વધારો ફરી લોકોના બજેટ પણ ખોરવી નાખવા. જેના કારણે લોકોમાં ભાવ વધારો અંકુશમાં લાવવા માંગ ઉઠી છે.
દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે. જેણે લોકોની કમર તોડી નાખી છે. કેમ કે હાલમાં દરેક ક્ષેત્રે ભાવ વધતા લોકોનું જીવવું દોહ્યલું બની ગયું છે. અને તેમાં ઘરેલુ ચીજવસ્તુનો ભાવ વધતા લોકોના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. અને તેમાં પણ તાજેતરમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારા સાથે 999.50 રૂપિયે ગેસ સિલિન્ડર પહોંચતા મહિલાઓમાં વધતા ભાવ સામે નારાજગી વ્યાપી છે. ભાવ વધારો પાછો ખેચવા માગ કરી છે.
હજુ થોડા દિવસ પહેલાં જ એટલે કે 1 મેની રોજ કોમર્શિયલ ગેસના બાટલામાં 102 રૂપિયાના અધધ ભાવ વધારા સાથે નવો ભાવ 2355 પર પહોંચ્યો હતો ત્યાં હવે રાંધણગેસના બાટલાના ભાવ 50 વધીને 999.50 પર પહોંચ્યો. તો પેટ્રોલ અને મોટા ભાગના શકભાજીએ ભાવમાં સદી વટાવી છે. તો તેલના ભાવ પણ આસમાને છે. જે વધતા ભાવને કારણે લોકો પરેશાન થઈ ગયા છે.
એટલું જ નહીં પણ સરકાર દ્વારા લોકોના ઘરે ચૂલા કાઢી ગેસ સિલિન્ડર વસાવવા યોજના લાવી. તેમજ લોકોને મદદ મળી રહે તે માટે રાંધણગેસ પર સબસીડી યોજના શરૂ કરી. જોકે હાલમાં સબસીડી મળતી બંધ થઈ ગઈ અને ગેસના બાટલાના ભાવ સતત વધારાના કારણે લોકોના માથે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને કારણે લોકોએ સરકારી યોજના સામે નારાજગી પણ વ્યક્ત કરી. કેમ કે લોકોનો આક્ષેપ છે કે મોંઘવારીમાં અમીર વધુ અમીર અને મધ્યમ વર્ગ ગરીબ બની રહ્યો છે તો ગરીબ વર્ગનો કોઈ અતોપતો નથી રહ્યો. એટલું જ નહીં પગાર વધારો નહિ અને સામે મોંઘવારી વધતા લોકો ના બજેટ ખોરવાઈ ગયા છે. જેના કારણે લોકોમાં સરકાર સામે વધુ નારાજગી વ્યાપી છે.
ત્યારે હાલના સમયમાં લોકો એક જ માંગ છે કે વધતા ભાવને સરકાર અંકુશમાં લાવે. જેથી લોકોને પડતી હાલાકી દૂર કરી શકાય અને જો તેમ નહિ થાય તો આગામી સમયમાં આવનાર ચૂંટણીમાં તેની અસર દેખાઈ શકે છે તેવી ચિમકી લોકો આપી રહ્યાં છે.
બીજી બાજુ કોંગ્રેસ પણ ભાવ વધારાનો વિરોધમાં આવી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના કોંગી ધારાસભ્ય લલીત વસોયાએ રાંધણગેસના ભાવ વધારા મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. વસોયાએ કહ્યું હતું કે રાંધણગેસના ભાવ વધારાથી ગરીબ પરિવારની કમર તૂટી જશે. આ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે. ત્યારે ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાના હિતમાં રાંધણ ગેસ પરનો ભાવ વધારો પરત ખેંચવા માગ કરી હતી.