AHMEDABAD: રક્ષક જ બન્યા ભક્ષક! PSI અને પાડોશીના ત્રાસથી વૃદ્ધે ટૂંકાવ્યું જીવન, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત
AHMEDABAD: શહેરમાં ગીતા મંદિર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે આત્મહત્યા કરી. વૃદ્ધની સ્યુસાઈડ નોટથી મોટો ઘટસ્ફોટ થયો છે. તેમાં લખ્યું છે કે PSI અને પાડોશીના ત્રાસથી જીવન ટૂંકાવવા જઈ રહ્યા છે.
પોલીસ એ પ્રજાની રક્ષક કહેવાય છે. પરંતુ આ રક્ષક જ્યારે ભક્ષક બની જાય તો શું? પોલીસનું કામ પ્રજાની સેવા કરવાનું હોય છે. પરંતુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપ છે કે પોલીસ કર્મચારીના ત્રાસથી અમદાવાદ શહેરમાં ગીતા મંદિર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે આત્મહત્યા કરી. વૃદ્ધની સ્યુસાઈડ નોટથી મોટો ઘટસ્ફોટ થયો છે. તેમાં ઉલ્લેખ કર્યો છે કે પીએસઆઈના ત્રાસથી આત્મહત્યા કરીને જીવન ટુંકાવ્યું છે. આ બાબતે પોલીસે કાયદાનો પાઠ ભણાવવા પીએસઆઇ સહીત 3 લોકો સામે ગુનો નોંધ્યો છે.
ગીતા મંદિર વિસ્તારમાં રહેતા વૃદ્ધ પ્રેમજી ભાઈ રેવરે મંગળવારે સાંજે આત્મહત્યા કરી લેતા પરિવારજનો અને તેમના સ્વજનો દુઃખમાં સરી પડ્યા. સ્યુસાઈડ નોટ પ્રમાણે તેઓએ પોલીસ અને પાડોશીના ત્રાસથી આપઘાત કર્યો. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતા ત્યાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં બિગ બજાર ચોંકીના પીએસઆઈ પી. કે ગોહિલ અને તેમની દુકાનના પાડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ ગેમજી ભાઈએ તેમના પર વારંવાર માનસિક ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેના પરિણામે તેઓએ આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે.
સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે અમારી સાથે ખૂબ જ અન્યાય થયેલ છે. અમારી જગ્યાની પાછળ જયેન્દ્ર કોસ્ટી અને બિગ બજારના પીએસઆઈ ગોહિલ સાહેબ બન્ને મળીને અમારી ઉપર ખોટા કેસ કરીને ખોટી એફઆઈઆર કરીને એમને દબાણ કરે છે. તેમાં આગળ લખ્યું છે કે, પી એસ આઈ ગોહિલ સાહેબ અમારું કંઈ સાંભળતા નથી આ બન્ને જણા એ એમને ખૂબ ત્રાસ આપેલ છે. જેથી અમે આ આત્મ હત્યાનું પગલું ભરેલ છે. અને અમારું મરવાનુ કારણ આ બે જણા છે. પી એસ આઈ ગોહિલને કોઈ પણ રજૂઆત કરીએ તો ઉલ્ટાનું અમોને દબાણ કરે છે અને કહે છે કે તમે વધારે પડતું બોલશો તો તમને જેલમાં પૂરી દઈશ. આવી રીતે ટોર્ચર કરે છે અને માનસિક હેરાન કરે છે. જયેન્દ્રના મકાન પાછળ પાકું સ્લેબ ધાબુ ભરાવી રાખેલ છે. અમો એ કહ્યું છતાં અમારું કોઇપણ સાભળેલ નથી. બસ આ જ સ્યુસાઇડ નોટના આધારે કાગડાપીઠ પોલીસ એ આ સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે તે જોવું રહ્યું. પોલીસે જયેન્દ્ર કોસ્ટી, નરેન્દ્ર કોસ્ટી અને પી એસ આઈ વિરુદ્ધ ફરિયાદ તો દાખલ કરી પણ હવે પીએસઆઇ ફરાર થઈ જતા તેને પકડવાથી લઈ પૂછપરછમાં શુ ખુલાસા અને હકીકત સામે આવે છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: વાઈનશોપની પરમિશન માટે તોડી પડાયું શિવ મંદિર, સેલવાસના સ્થાનિકો 25 વર્ષથી કરતા હતા પૂજા
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધિ ગુરુવારે 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 કલાકે યોજાશે