ગુજરાતના નાગરિકોની સુરક્ષા વધારવા સરકારનો મહત્વનો નિર્ણય, ભીડભાડવાળા વિસ્તારોમાં CCTV લગાવવા ફરજીયાત, CCTVનો ડેટા 30 દિવસ રાખવો પડશે
આ કાયદા (laws) અંતર્ગત જ્યાં ભીડ વધુ એકઠી થતી હોય તેવી સંબંધિત સંસ્થાઓએ 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માગી શકશે.
ગુજરાતના (Gujarat) નાગરિકોની સલામતી અને સુરક્ષામાં (Security) વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા મહત્વના કાયદાનો અમલ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) સરકાર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખી જાહેર સ્થળો-મોટી સંખ્યામાં લોકોની અવર-જવર વાળા સ્થાનોએ સી.સી.ટીવી કેમેરા લગાવવા ફરજીયાત રહેશે. એક જ સમયે એક હજારથી વધુ લોકો ભેગા થતા હોય કે દિવસ દરમ્યાન એક હજાર લોકોની અવર-જવર હોય તેવી સંસ્થાઓએ સી.સી.ટીવી કેમેરા લગાવવાના રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા એક મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં જાહેર સલામતીના આ કાયદાનું અમલીકરણ 1 ઓગસ્ટ-2022થી કરાશે. પ્રથમ તબક્કે 8 મહાનગરપાલિકા વિસ્તારમાં આ કાયદાનો અમલ કરાવવામાં આવશે. પ્રથમ તબક્કે આ કાયદાનો અમલ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર માં અમલમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેર સલામતિ સમિતી દ્વારા ભલામણ કરાયેલા પગલાં 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ ગોઠવવાના રહેશે.
રાજ્યમાં ઝડપી ઔદ્યોગિકરણ, શહેરીકરણ તથા ધંધાકીય પ્રવૃત્તિઓના વ્યાપ વિસ્તારથી વિકસીત ગુજરાતમાં વાણિજ્યીક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમત-ગમત સંકુલો તથા રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને વધુ પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા સ્થળોએ નાગરિકોની સુરક્ષા સામેના જોખમો નિવારવા તથા ગુનાની સંભાવનાઓ અટકાવવાના રક્ષાત્મક ઉપાય રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ કાયદા અંતર્ગત જ્યાં ભીડ વધુ એકઠી થતી હોય તેવી સંબંધિત સંસ્થાઓએ 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વિડીયો ફૂટેજ માગી શકશે. આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતીની રચના જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતી રચવામાં આવશે, તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતીના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઇ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિયેશનના ૩ કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે. તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે.
જાહેર સલામતીમાં ભાગીદાર થવા માટે 6 મહિનાની અંદર સંબંધિત સંસ્થાઓએ સીસીટીવી ફરજિયાત લગાવવાના રહેશે. આ અધિનિયમમાં એવી જોગવાઇ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતિ સમિતી કે જાહેર સલામતિ પેટા સમિતીના અધિકારી બે દિવસની નોટીસ/સૂચના આપ્યા પછી એકમો, સંસ્થાઓમાં સી.સી.ટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરશે. કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતીને પોતાનો અહેવાલ આપશે.
(વીથ ઇનપુટ- કિંજલ મિશ્રા,ગાંધીનગર)