ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે કોંગ્રેસને કળ વળી ! વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ આપ્યુ મોટુ નિવેદન
વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતના સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે લડાઇ લડતી રહેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ હવે કોંગ્રેસને કળ વળી છે. ગુજરાતમાં મળેલા પરાજય અંગે કોંગ્રેસમાં ચાલી રહેલા મંથન વચ્ચે આખરે કોંગ્રેસે વિપક્ષના નેતા અને ઉપનેતાની પસંદગી કરી છે. કોંગ્રેસે ગુજરાત રાજ્ય વિધાનસભા વિરોધ પક્ષના નેતા પદે આંકલાવના ધારાસભ્ય તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પસંદગી કરી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી જીતેલા શૈલેશ પરમારની પસંદગી કરી છે.
વિપક્ષના નેતા તરીકે અમિત ચાવડાના નામની જાહેરાત થયા બાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર તેમનું ઢોલ-નગારા અને ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યુ. વિપક્ષના નેતા જાહેર કરાયા બાદ અમિત ચાવડાએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતના સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે લડાઇ લડતી રહેશે.
કોંગ્રેસ સામાન્ય પ્રજાજનોને સ્પર્શતા પ્રશ્નો મુદ્દે લડાઇ લડતી રહેશે
કોંગ્રેસને વિપક્ષનું પદ મળશે કે નહીં તેને લઇને વિસંગતતાઓ હતી. જો સરકાર નેતા વિપક્ષનું પદ નહીં આપે તો તેમના નેતાને સરકારી બંગલો અને ગાડી નહીં મળે. ત્યારે આ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું કે વિપક્ષના નેતાનું બંધારણીય પદ સરકારી લાભ કે સુવિધા માટે નથી પણ પ્રજાની સેવા માટે છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા ભરત ડાંગરે અમિત ચાવડા પર પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ વિપક્ષ પદને પણ લાયક નથી.