અમદાવાદની દીકરી અમેરિકામાં બની જજ, રામચરિત માનસ ઉપર હાથ રાખીને લીધા શપથ
અમદાવાદમં મોટી થયેલી જાનકી શર્માનો મૂળ પરિવાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો છે જ્યારે તેમની માતા મૂળ અમદાવાદના છે અને સમગ્ર પરિવાર હાલ અમદાવાદના શાહીબાગ ખાતે વસવાટ કરી રહ્યો છે.
ભારત (India) દેશની સાથે સાથે વિદેશની ધરતી પર પણ ભારત અને ભારતના લોકોની બોલબાલા છે ત્યારે ભારતમાં અને ખાસ અમદાવાદ (Ahmedabad) માં મોટી થયેલી જાનકી શર્માએ 10 જૂનના રોજ યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા (America) એટલે કે અમેરિકા દેશમાં મેજિસ્ટ્રેટ એટલે કે ન્યાયાધીશ તરીકેના શપથ લીધાં હતાં. મહત્વની વાત એ છે કે જાનકી શર્માએ પોતાના શપથ રામચરિતમાનસ ઉપર હાથ રાખીને લીધા હતા. જાનકીના પરિવારની વાત કરવામાં આવે તો જાનકી શર્માનો મૂળ પરિવાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરનો છે જ્યારે તેમની માતા મૂળ અમદાવાદના છે અને સમગ્ર પરિવાર હાલ અમદાવાદના શાહીબાગ ખાતે વસવાટ કરી રહ્યો છે.
બાળકો જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે ત્યારે તેમના જીવનમાં સૌથી મોટો ભાગ તેમના માતા-પિતા અને ત્યારબાદ પરિવારનો હોય છે. જાનકી શર્માની આ સફળતા પાછળ તેમના પિતાએ અને તમામ સ્તરે તેમની માતાને સાથ આપ્યો છે. તેમની માતાએ વાતચીત કરતા કહ્યું કે જાનકી શર્મા નાનપણથી જ જજમેન્ટલ સ્વભાવ ધરાવે છે. આ ઉપરાંત ઘરના કોઈ પણ કાર્યમાં તેમને નિર્ણય શક્તિ ખૂબ જ મહત્વની રહી છે. જાનકી શર્મા દ્વારા પરિવાર માટે લેવામાં આવેલા કોઈપણ નિર્ણય હંમેશા સાચા રહ્યા છે.
શર્મા પરિવારમાં ૩ સંતાનો છે, જેમાં સૌથી મોટી દીકરી જાનકી અને બે દીકરા એટલે કે ભુવન અને ત્રિભુવન છે. જાનકી શર્મા પરિવારનું સૌથી મોટું સંતાન છે. જાનકી શર્માના સૌથી નાના ભાઈ ત્રિભુવન શર્માએ બહેન જાનકીને યાદ કરતાં કહ્યું કે પોતાની બહેન અને દેશની દીકરી વિદેશની ધરતી પર જ બની છે ત્યારે સમગ્ર દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે આ સાથે જ દરેક રક્ષાબંધનના દિવસે બહેનની ખૂબ જ યાદ પણ આવતી હોવાનું ત્રિભુવન શર્માએ TV9 સાથેની વાતચીતમાં કહ્યું હતું, પરંતુ જ્યારે વર્ષમાં એક વખત જાનકી શર્મા ભારત આવે છે ત્યારે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરીને તેઓ ખુશી મનાવે છે.
એક તરફ દેશમાં હજુ પણ લોકો એવી માન્યતા રાખે છે કે દીકરીને વધુ ભણાવી ન જોઈએ પરંતુ શર્મા પરિવારમાં જાનકી શર્માને ખૂબ જ સારો ઉછેર મળ્યો અને 2001માં જાનકી શર્મા અમેરિકા રવાના થયા બાદ ત્યાં પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. જાનકી શર્માના માતાએ TV9 સાથે વાતચીત કરતા કહ્યું કે તેઓ પોતાના ત્રણેય બાળકોને હંમેશા સવારે વહેલા ઊઠીને બ્રહ્મમુહૂર્તમાં જ ભણાવતાં હતાં. આ સાથે જાનકી શર્માના પરિવારે આ સમગ્ર શ્રેય દેશને આપ્યો હતો અને હવે જાનકી શર્મા દેશની દીકરી છે તેવું પણ તેમણે કહ્યું હતું.