Ahmedabad: સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમુદાય દ્વારા અંગદાનની પ્રથમ ઘટના
મૃતકના પિતા જુમ્માભાઇ ખલીફાએ જણાવ્યું હતું કે મારો જુવાન દીકરો ગુમાવ્યો પરંતુ તેના હૃદયના પ્રત્યારોપણથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળ્યું તેનો સંતોષ છે.
મુસ્લિમ સમાજ (Muslim community) માં અંગદાન (organ donation) પ્રત્યે જાગૃતતા નથી જેના કારણે કીડની કે લીવર જેવાં અંગો મેળવવા માટે મુસ્લિમ સમાજના લોકોએ અંગ મેળવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે ગુજરાતમાં મુસ્લિમ સમાજના જ એક પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા અને અમદાવાદ (Ahmedabad) સિવિલ હોસ્પિટલમાં તેમના અંગ દાન કરી મુસ્લિમ સમાજમાં એક અનોખું દ્રષ્ટાંત ઊભું કર્યું છે. આ પરિવારનું સન્માન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મે મહિનામાં કચ્છ (Kutch) જિલ્લાના રાપર તાલુકાના જુમ્માભાઇ ખલીફાએ બ્રેઇનડેડ થયેલ 25 વર્ષીય દીકરા ઇનાયતના અંગોનું દાન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ સમુદાય દ્વારા કરાયેલ અંગદાનની આ પ્રથમ ઘટના હતી. મૃતકના પિતા જુમ્માભાઇ ખલીફાએ જણાવ્યું હતું કે મારો જુવાન દીકરો ગુમાવ્યો પરંતુ તેના હૃદય પ્રત્યારોપણથી અન્ય જરૂરિયાતમંદને નવજીવન મળ્યું તેનો સંતોષ છે.
મારો દીકરો જીવંત નથી પરંતુ તેના અંગોનું બીજાના શરીરમાં પ્રત્યારોપણ થઇને નવજીવન મળે તેનાથી ગૌરવપૂર્ણ ક્ષણ મારા માટે અન્ય કોઇ જ ન હોઇ શકે આ શબ્દો છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામના મુસ્લિમ સમુદાયના જુમ્મા ખલીફાના. તેઓ સમગ્ર વિગત આપતા જણાવે છે કે, મે મહિનામાં ભચાઉ ખાતે મારા દીકરાનો માર્ગ અકસ્માત થતા ભૂજ ખાતે અમે પ્રાથમિક સારવાર અર્થે લઇ ગયા હતા. ત્યાના તબીબોને સ્થિતિ ગંભીર જણાઇ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા કહેવામાં આવ્યું હતુ. અમે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અમદાવાદ સિવિલ હોસ્પિટલમા સારવાર અર્થે લઇ આવ્યા. અહીં પાંચ દિવસની સધન સારવાર અંતે હોસ્પિટલના તબીબો દ્વારા ઇનાયતને બ્રેઇનડેડ જાહેર કરાયો હતો.
આ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા મને અંગદાનનું મહત્વ સમજાવતા મેં વિચાર્યું કે મારો દીકરો તો મે ગુમાવી દીધો છે પરંતુ મારા દિકરાના અંગદાન થકી અન્ય કોઇનો દીકરો પીડામુક્ત બને તેને નવજીવન મળે તો તેનાથી પવિત્ર કાર્ય વળી અન્ય કયું હોઇ શકે. આ પવિત્ર વિચારને કેન્દ્રમાં રાખીને જ મેં બ્રેઇનડેડ થયેલ મારા દીકરાના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.
તબીબોની અથાગ મહેનતના પરિણામના અંતે ઇનાયતનું હૃદય મેળવવામાં સફળતા મળી હતી. જે આજે અન્ય જરૂરિયાતમંદના શરીરમાં ધબકી રહ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમને પોતાના નિવાસ સ્થાને બોલાવીને અમારા અંગદાનના સત્કાર્યને બિરદાવ્યા છે જે અમારા માટે ગૌરવવંતી વાત છે. જે બદલ અમે સર્વે લોકો મુખ્યમંત્રી અને સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.