Ahmedabad : સિવિલના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇનડેડ દર્દીના હ્રદયનું અંગદાન કરવામાં સફળતા, પાંચ લોકોને મળ્યું નવજીવન
અંગદાન માટે લોકોમાં જાગૃતિ અને પ્રોત્સાહન વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અંગદાન માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવિલ હોસ્પિટલના 400થી વધુ હેલ્થ વર્કરોએ અંગદાન કરવા માટેના શપથ લીધા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રેઇનડેડ દર્દીના હ્રદયનું અંગદાન કરવામાં સફળતા મળી છે. બ્રેઇન્ડેડ દર્દીના હ્રદયને સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે 12 કિલોમીટરનું અંતર 11 મીનિટમાં કાપી સીમ્સ હોસ્પિટલમાં પ્રત્યારોપણ માટે પહોંચાડવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં દાખલ જુનાગઢના બ્રેઇન ડેડ દર્દીનું હ્રદય સિમ્સ હોસ્પિટલમાં દાખલ મોરબીના દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળતા મળી છે.
બ્રેઇનડેડ દર્દીના અંગોનું દાન
સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર હ્રદયનું અંગદાન મેળવવામાં સફળતા મળી છે. દર્દી મુકેશસિહ સોલંકી બ્રેઇનડેડ જાહેર થતા તેમના 4 અંગોની સાથે હ્રદયનું પણ દાન મેળવવામાં સફળતા મળી છે. મુકેશસિંહ સોલંકીના હ્રદયને સિવિલ હોસ્પિટલથી સિમ્સ હોસ્પિટલમાં ગ્રીન કોરિડોર કરીને પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યું હતું. હ્રદયને ગ્રીન કોરિડોર મારફતે પોલીસ એક્સકોર્ટની મદદથી 12 કિ.મી.નું અંતર ફક્ત 11 મીનિટમાં કાપી પ્રત્યારોપણ માટે સરળતાથી પહોંચાડવામાં સફળતા મળી હતી.
કુલ પાંચ લોકોને મળ્યું નવજીવન
મુકેશસિંહના પાંચ અંગોમાંથી કિડની અને સ્વાદુપિંડ સુરતના 35 વર્ષના પુરુષને, જ્યારે બીજી કિડની 65 વર્ષના અમદાવાદના દર્દીને , જયારે લીવર 40 વર્ષની અમદાવાદની મહિલામાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. મુકેશભાઇના હ્રદયને મોરબીના 36 વર્ષના પુરુષમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતુ. સરકારની સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન સોટ્ટો હેઠળ સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 11 બ્રેઇનડેડ દર્દીઓના 35 અંગોનું દાન મેળવીને 29 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરાયું છે.
9 દિવસમાં 3 અંગદાન થયા
જેમાં છેલ્લા 9 દિવસમાં 3 અંગદાન થયા છે. સિવિલ હોસ્પિટલની સોટ્ટોની ટીમના સહિયારા પ્રયાસોના ભાગરૂપે આજે સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ વખત હ્રદયનું પણ દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને ડિસેમ્બર 2020માં અંગોના રીટ્રાઇવલ સેન્ટર તરીકેની મંજૂરી મળતા હોસ્પિટલમાં બ્રેઇનડેડ થતા દર્દીના અંગોનું હોસ્પિટલ ખાતે જ રીટ્રાઇવલ કરીને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલી શકાય છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસે અંગદાન માટે લોકોને પ્રોત્સાહિત કરાયા
અંગદાન માટે લોકોમાં જાગૃતિ અને પ્રોત્સાહન વધે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અંગદાન માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સિવિલ હોસ્પિટલના 400થી વધુ હેલ્થ વર્કરોએ અંગદાન કરવા માટેના શપથ લીધા હતા.
આ પણ વાંચો : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં ગુજરાતના 29 લાખ કુટુંબોને લાભ મળ્યો : CM ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો : AMC નો મોટો નિર્ણય, વેક્સિનનો એક પણ ડોઝ નહીં લીધો હોય તો AMTS-BRTS, અને આ સ્થળોએ નહીં મળે પ્રવેશ