Ahmedabad: ધો. 10-12 પછીના અભ્યાસ અંગેની માર્ગદર્શિકાનું વિમોચન, સી.એમ.એ કહ્યું પોતાની રુચિ અનુસાર વિદ્યાર્થીઓ આગળ વધે એ મહત્વનું
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દ્રષ્ટિહીન અને અજ્ઞાની બંને સરખા હોય છે, બંનેને ધ્યેય સુધી પહોંચવામાં તકલીફ પડે છે. તેમણે પોતાની રમૂજ શૈલીમાં કહ્યું કે પોતાના બાળકો ઉપર શિક્ષણનો ભાર ન આપવો જોઇએ.
રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ અને હવે આ વિદ્યાર્થીઓ (students) હવે કઈ વિદ્યાશાખામાં જઈ શકે છે તેની માહિતી મળી રહે તે માટે હીરામણી સ્કૂલ જનસહાય ટ્રસ્ટ દ્વારા એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા આ માર્ગદર્શિકા (guide) નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શિકા બુકનું નામ ઉડાન આપવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકાના વિમોચન માટે એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીએમ અને નરહરિ અમીને હાજરી આપી હતી.
આ પ્રસંગે સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે 150 પાનાંની “ઉડાન” પુસ્તક વિદ્યાર્થીઓને પૂરતુ માર્ગદર્શન આપશે. હું 1993 માં સિન્ડિકેટ મેમ્બર હતો ત્યારે રાજ્યમાં માત્ર 8 જ યુનિવર્સીટી હતી, આજે 92 યુનિવર્સીટીઓ છે. અગાઉ વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય રાજ્યોમાં જવું પડતું પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે તમામ પ્રકારનું કોર્સ ગુજરાતમાં જ ઉપલબ્ધ છે. આગળ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ માટે વ્યવસાય અને શિક્ષણ બાબતની સંપૂર્ણ માહિતી મળી શકે એ માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી સાબીત થશે. તેમણે એમ પણ કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલો આજે કોલેજોમાં વિનામૂલ્યે આ પુસ્તક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત અડાલજ પાસે બની રહેલા અન્નપુર્ણા ધામ ટ્રસ્ટ દ્વારા બની રહેલી હોસ્પિટલ વિશે જણાવ્યું હતું કે અડાલજ પાસે 50 કારોડના ખર્ચે હોસ્પિટલ બનશે, જેમાં દર વર્ષે 50 કરોડ સુધીનો દર્દીઓનો ખર્ચ હોસ્પિટલ કરશે.
આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દ્રષ્ટિહીન અને અજ્ઞાની બંને સરખા હોય છે, બંનેને ધ્યેય સુધી પહોંચવામાં તકલીફ પડે છે. તેમણે પોતાની રમૂજ શૈલીમાં કહ્યું કે પોતાના બાળકો ઉપર શિક્ષણનો ભાર ન આપવો જોઇએ. દરેક માતા પિતાએ પ્રેમથી વર્તવું જોઈએ, પણ કેટલાક માતા પિતા બાળકો ઉપર જુલમ કરતા હોય છે. પોતાના સપનાઓ પુરા કરવા બાળકો ઉપર ભાર ન આપવો એ જરૂરી છે. બાળકોની ચિંતા કરવી એ વ્યાજબી છે પણ પ્રેશર ન આપવામાં આવે એ જરૂરી છે. પહેલાના સમયમાં આટલું બધું નહોતું પણ એ સમયે બધા આગળ ન વધ્યા. દીકરો કે દીકરી નાપાસ થાય તો એ ઘરે પણ ન જઈ શકે તેવી સ્થિતી થતી જોવા મળે છે પણ એવું ન હોવું જોઈએ. પોતાની રુચિ અનુસાર વિદ્યાર્થીઓ આગળ વધે એ મહત્વનું છે. “ઉડાન” પુસ્તક એવા બાળકોને માર્ગદર્શન પૂરું પાડશે.