રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ભક્તોની સુરક્ષાને પગલે અધિકારીઓને સોંપાઈ જવાબદારી
ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા અલગ-અલગ પોલીસ ઇન્સ્પેકટરને ફૂડ, ડ્રેસ, સંકલન સમિતિ, બંદોબસ્ત સ્કીમ બનાવવી, એન્ટી સોશ્યલ એલિમેન્ટ્સ, ડ્રોન માટેની જવાબદારીઓ સોંપવામાં આવી.
Ahmedabad : રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ(Ahmedabad Police) પણ એક્ટિવ થઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ પણ આટોપી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા સ્માર્ટ મેનેજમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, હિંમતનગર અને ખંભાતમાં થયેલા તોફાન બાદ પોલીસ વધુ સતર્કતા થી કામ કરી રહી છે. ત્યારે પોલીસ દ્વારા સુરક્ષાને લઇને ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે,જેથી રથયાત્રા (Rathyatra) દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
પોલીસ માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી એક ચેલેન્જ સમાન
અમદાવાદ ખાતે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા(Jagnnath Rathyatra) શ્રદ્ધા અને આસ્થાનું એક અનેરું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. જેમાં લાખોની સંખ્યા લોકો દર્શન માટે એકઠા થતા હોય છે ત્યારે પોલીસ માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી એક ચેલેન્જ સમાન બની રહે છે. સામાન્ય રીતે રથયાત્રાના એક દોઢ મહિના પહેલાથી જ પોલીસ સમગ્ર પ્લાનિંગ(Police Planning) તૈયાર કરી લેતી હોય છે. આ વખતે પણ ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેર પોલીસે અલગ- અલગ પ્રકારના આયોજન કરી સુરક્ષાને લગતી કામગીરી શરૂ કરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવતી જવાબદારી અત્યાર સુધી માત્ર એડમીન પીઆઇ જ સંભાળતા હતા, પણ આ વખતે સાત પીઆઇ ને અલગ અલગ જવાબદારી આપવામાં આવી છે.
જેમાં ફૂડ, ડ્રેસ, સંકલન સમિતિ, બંદોબસ્ત સ્કીમ બનાવવી, એન્ટી સોશ્યલ એલિમેન્ટ્સ, ડ્રોન માટેની જવાબદારી અલગ- અલગ PI ને સોપાઈ છે. જેઓને પ્લાનિંગ કરી તમામ બાબતોનું રિપોર્ટિંગ ડીસીપી અને તેમની ઉપરથી કક્ષાના અધિકારીઓને કરવાનું રહેશે. આ પ્લાનીંગથી સરળતાથી તમામ કામ પૂર્ણ થઈ શકે અને જવાબદારી નક્કી કરવાથી ધગશથી આ કામ પૂર્ણ કરવાની તૈયારી ક્રાઇમ બ્રાન્ચે બતાવી છે.
હિંમતનગર અને ખંભાતમાં થયેલા તોફાન બાદ પોલીસ વધુ સતર્ક
બીજીતરફ આ વખતે ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસને વધુ કમર કસવાની ફરજ પડી છે, કારણકે તાજેતરમાં જ હિંમતનગર, ધંધુકા કિશન ભરવાડ કેસ અને ખંભાતમાં થયેલા તોફાનને પગલે રથયાત્રામાં પોલીસ કોઈ કસર રાખવા માંગતી નથી. આ જે બનાવો બન્યા હતા તેના કોઈ ઘેરા પ્રત્યાઘાત ન પડે તે માટે અવાર નવાર સંવેદનશીલ વિસ્તારોમાં તપાસો કરવામાં આવી રહી છે. ધંધુકા કિશન ભરવાડ કેસમાં જે રીતે આરોપીઓની સંડોવણી સામે આવી તેઓ અનેક વિઝીટ કરી ચુક્યા હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ ખાસ હોટલ સહિત અન્ય જગ્યાઓ પર પણ ચેકીંગ શરૂ કર્યું છે અને સાથે જ હિસ્ટ્રીશીટર તેમજ ગંભીર ગુના આચરતા લોકો સામે પણ નજર રખાઈ રહી છે.
રથયાત્રાને લઈને બહારથી અનુભવી અધિકારીઓને બોલાવવા માટેની પણ તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે પણ આ વખતે હિંમતનગર અને ખંભાતમાં થયેલા કોમી તોફાનો અને વધુ સંખ્યામાં આવનાર ભક્તોને લઈને બંદોબસ્ત પણ વધુ રાખી શહેર પોલીસ રથયાત્રાની સુરક્ષા પૂર્ણ પાડશે તેવો દાવો કરાઇ રહ્યો છે.