Ahmedabad : રથયાત્રા અંગે હજુ કોઇ નિર્ણય નહીં, પરંતુ શહેર પોલીસ એક્શન મોડમાં
શહેરમાં રથયાત્રા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
Ahmedabad : શહેરમાં રથયાત્રા યોજાશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. ત્યારે અમદાવાદ શહેર પોલીસે રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રથયાત્રાના પર્વ દરમ્યાન અસામાજિક તત્વો શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ ના કરે તે માટે અમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ તેમજ સઘન ચેકીંગ હાથ ધર્યું છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેર પોલીસને સઘન પોલીસ કરવાના આદેશ આપ્યા છે. જેના ભાગરૂપે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાત રાજયમાં જગન્નાથજીની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ શહેરમાં ધામધૂમથી નીકળતી હોય છે. અને આ રથયાત્રામાં કોઈ અડચણ ન આવે તેમજ અસામાજિક તત્વો શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ ન કરે તે માટે રથયાત્રા પહેલા જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતો હોય છે.
જેને પગલે હવે રથયાત્રાને આડે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદ શહેરમાં પ્રવેશવાના તેમજ શહેરમાંથી બહાર નીકળવાના રસ્તા પર ચેકપોસ્ટ બનાવીને શંકાસ્પદ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જગન્નાથજીની રથયાત્રા સુધી આ જ રીતે અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાશે.
રથયાત્રા દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવા માટે ગેરકાયદેસર રીતે હથિયારો તેમજ નશાયુક્ત પીણા તેમજ પદાર્થો શહેરમાં ઘુસાડવાનો પ્રયાસ કરાતો હોય છે. જેને રોકવા માટે શંકાસ્પદ વાહનોનું અમદાવાદ શહેરમાં સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે.
શહેરના યુવાનોમાં હાલ વાહનોમાં લાકડી તેમજ દંડા રાખવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે વાહનોમાં બિનજરૂરી લાકડી તેમજ દંડા રાખનાર વાહનચાલકો સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.