Ahmedabad: 31 તારીખે કોઈ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ-ડીઝલ નહિ ખરીદે, રાજ્યભરના ડીલરોએ કરી જાહેરાત, જાણો શું છે કારણ
16 રાજ્યોના એસોસિએશને આપેલા એલાનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના (Gujarat Petroleum Dealers Association) સભ્યો પણ જોડાવાના છે. 31મી મેએ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરશે નહીં.
પેટ્રોલ ડીઝલના (Petrol diesel) ભાવ વધારાને લઈને એસોસિએશનએ સરકારને અનેક વખત રજુઆત કરી છે. હાલમાં સરકારે લોકોની હાલાકી પર ધ્યાન આપી ભાવમાં ઘટાડો કરતા આંશિક રાહત મળી છે. ત્યાં બીજી તરફ ગુજરાત (Gujarat) સહિત દેશભરના પેટ્રોલિયમ ડિલરોના માર્જિનમાં 2017ના વર્ષથી વધારો કરવામાં નહીં આવતા તેના વિરોધમાં પેટ્રોલ પંપ ડીલર એસોસિએશન (Petrol Pump Dealers Association) દ્વારા 31મેના રોજ ‘નો પરચેઝ’ આંદોલન જાહેર કરવામાં આવ્યું છે.
16 રાજ્યોના એસોસિએશને આપેલા એલાનમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના પણ સભ્યો જોડાવાના છે. 31મી મેએ પેટ્રોલ પંપ ડીલર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કરશે નહીં. જો કે ગ્રાહકોને તેનાથી કોઈ તકલીફ નહીં પડે અને પેટ્રોલ, ડીઝલ, સીએનજીનું વેચાણ ચાલુ રહેશે જેના માટે પંપ ધારકોએ એડવાન્સ જથ્થો પણ મગાવી લીધો હોવાનું નિવેદન પેટ્રોલ પંપ ડીલર એસોસિએશને આપ્યું છે.
પેટ્રોલ પંપ ડીલર એસોસિએશના પ્રમુખે અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, 2017 મા માર્જિનમાં વધારો કરાયો હતો જે બાદ 2018માં 1.50 ની સામે 2.50 ટકા માર્જિન વધારવાની માગ રજૂ કરાઈ હતી. જોકે તે માગને રજૂ કરે 4 વર્ષ ઉપર વીતી ગયું. જેને લઈને સરકારમાં મુદ્દો પહોંચાડવા માટે ભરતના પેટ્રોલ પંપ ડિલર્સ એસોસિએશને 31 મેના રોજ નો પરચેઝની જાહેરાત કરી છે. તો ગુજરાતના પેટ્રોલિયમ ડિલરોએ OMC ને જાણ કરી છે કે અન્ય રાજ્યો દ્વારા જાહેર કરાયેલા 31 મેના રોજ નો પરચેઝ આંદોલનમાં જોડાવાના છીએ. શનિવારે અમદાવાદ ખાતે SLCની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. તેમાં IOCL, BPCL, HPCLના વરિષ્ઠ અધિકારીઓ અને ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના ડિલર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.
OMC અધિકારીઓએ ડિલરના પ્રતિનિધિઓને 31મેના ‘નો પરચેઝ’ દિવસમાં ન જોડાવા વિનંતી કરી હતી. જેની સામે ડિલરોએ રજૂઆત કરી હતી કે, મુદ્દાઓ રાષ્ટ્રીય સ્તરના છે અને વણઉકેલાયેલા રહે છે. પરિણામે વ્યવસાયની સદ્ધરતા પર નકારાત્મક અસર પડે છે. જેથી આ જાહેરાત કરાઈ છે. તો તમામ ડિલરોને મહિનાના અંત દરમિયાન પેટ્રોલ-ડીઝલનો યોગ્ય સ્ટોક જાળવી રાખવા તાકીદ કરાઈ હતી.
OMC અધિકારીઓએ જણાવ્યુ કે 31મે એ એક પણ રિટેલ આઉટલેટ સપ્લાય બંધ કરશે નહીં. કારણ કે વેચાણ ચાલુ રાખવું જોઈએ અને ગ્રાહકોને નોન-સ્ટોપ ઈધણ પુરવઠો મળવો જોઈએ જેથી ક્યાંય સમસ્યા ન સર્જાય અને પેટ્રોલ પંપ ડીલર એસોસિએશનની માગ એક અલગ રીતે રજૂ પણ કરી શકાય. ત્યારે જોવાનું એ પણ રહે છે કે આ રીતે એસોસિએશનની વાત સરકાર સુધી પહોચશે ખરા અને પહોંચી તો સરકાર તેમાં આગળ કઈ વિચારશે ખરા અને માર્જિનમાં વધારો થશે કે પછી આમ જનતા મુશ્કેલીમાં મુકાશે.