Ahmedabad: ઘટશે ટ્રાફિકનું ભારણ, વસ્ત્રાલમાં નવનિર્મિત વર્તુળાકાર બ્રિજનું ટૂંક સમયમાં થશે લોકાર્પણ
વસ્ત્રાલ ચાર રસ્તા પાસે વર્તુળાકાર તૈયાર થયેલ બ્રિજની ખાસિયતની વાત કરીએ તો આ બ્રિજ સંપૂર્ણપણે સ્ટીલમાંથી બનાવવામાં આવ્યો છે તથા આ બ્રિજમાં પ્રવેશ કરવા માટે ચાર માર્ગ આપવામાં આવ્યા છે અને તમામ તરફ એસ્કેલેટર એટલે કે સ્વયં સંચાલિત સીડી પણ મૂકવામાં આવી છે
સતત વધતી ટ્રાફિક સમસ્યા સામે અમદાવાદીઓને (Ahmedabad) વધુ એક નવા બ્રિજની ભેટ મળશે. અમદાવાદના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં વર્તુળાકાર બ્રિજ બનીને તૈયાર છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે નવનિર્મિત રાઉન્ડ સર્કલ ફૂટઓવર બ્રિજ બનીને તૈયાર છે, જેનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વાહન વ્યવહારમાં તથા રાહદારીઓને કઈ રીતે રાહત મળે તેનો સતત વિચાર કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ પૂર્વમાં વસ્ત્રાલ ચાર રસ્તા ખાતે એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો જે અંતર્ગત રાઉન્ડ સર્કલ ફૂડ ઓવરબ્રિજ (Overbridged) તૈયાર કરવામાં આવ્યો છે આ સર્કલની મદદથી રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં ખૂબ જ સરળતા રહેશે.
મેટ્રો ટ્રેન સુધી પહોંચાડશે આ બ્રિજ
તેનું મુખ્ય કારણ એ છે કે આ માર્ગ સરદાર પટેલ રિંગરોડ માર્ગ છે, જેના કારણે મોટી સંખ્યામાં ભારે વાહનો અહીંયાથી 24 કલાક પસાર થતા રહે છે અને ઘણી વખત અકસ્માત થવાના અહેવાલો પણ સામે આવતા રહે છે ત્યારે આ બ્રિજ બનવાને કારણે શહેરીજનોને રસ્તો પસાર કરવામાં સરળતા થશે તથા જો કોઈ મુસાફરને મેટ્રો ટ્રેનમાં સવારે કરવી હશે તો તેને પણ આ બ્રિજ સીધો જ મેટ્રો સ્ટેશન પહોંચાડી આપશે.
વસ્ત્રાલ ચાર રસ્તા પાસે વર્તુળાકાર તૈયાર થયેલ બ્રિજની ખાસિયતની વાત કરીએ તો આ બ્રિજ સંપૂર્ણપણે સ્ટીલમાંથી બનાવવામાં આવ્યો છે તથા આ બ્રિજમાં પ્રવેશ કરવા માટે ચાર માર્ગ આપવામાં આવ્યા છે અને તમામ તરફ એસ્કેલેટર એટલે કે સ્વયં સંચાલિત સીડી પણ મૂકવામાં આવી છે કે જેના કારણે સામાન્ય લોકોથી લઈને સિનિયર સિટીઝન લોકોએ આ બ્રિજનો ઉપયોગ કરવો હોય તો તેમને પણ સરળતાથી મળી રહે.
ફૂટઓવર બ્રિજની છે અનેક વિશેષતા
અનેક ખાસિયત ધરાવતા આ બ્રિજની વાત કરવામાં આવે તો આ બ્રિજની લંબાઈ 320 મીટર, બ્રિજના વર્તુળની લંબાઈ 250 મીટર, આ સાથે જ બ્રિજની પહોળાઈ ચાર મીટર રાખવામાં આવી છે એટલે કે એક સાથે ખૂબ મોટી સંખ્યામાં રાહદારીઓ આ બ્રિજ પરથી પસાર થઈ શકે આ સાથે જ સામાન્ય રસ્તાથી બ્રિજની ઊંચાઈ 5.67 મીટર રાખવામાં આવી છે. અનેક વિવિધતા અને વિશાળતા ધરાવતો આ બ્રિજ અંદાજિત 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં શહેરીજનોને તેનો લાભ પણ મળવા લાગશે અને ચોક્કસથી આવા પ્રકારના બ્રિજને કારણે અકસ્માતમાં થતા મોતની સંખ્યામાં ઘટાડો પણ જોઈ શકાશે.