Ahmedabad : શહેરમાં ચાલુ સિઝનમાં 20 થી વધારે ભુવા પડ્યા, AMC ના ચોપડે માત્ર 11 જેટલા ભુવા
દર વર્ષે શહેરમાં 70 થી વધારે ભુવા પડે છે અને તેના માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, તેમ છતાં પણ ભુવા પડવાની ઘટના થમવાનું નામ નથી લેતી.
જાણીને નવાઈ લાગશે કે શહેરમાં દર વર્ષે આટલા બધા ભુવા પડે છે ? પણ આ વાત સાચી છે. કેમ કે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય, દરેક સિઝનમાં ભુવા પડવાની ઘટના સામે આવે છે. તેમાં પણ ચોમાસા દરમિયાન સૌથી વધુ ભુવા પડે છે અને તેનું કારણ છે વરસાદી પાણી. જે વરસાદી પાણી જમીનમાં ઉતરતા નાના ખાડા, મોટા ખાડામાં પરિણમે છે અને તે ભુવો કહેવાય છે.
મહત્વનું છે કે દર વર્ષે શહેરમાં 70 થી વધારે ભુવા પડે છે અને તેના માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, તેમ છતાં પણ ભુવા પડવાની ઘટના થમવાનું નામ નથી લેતી. ભુવા પડવાના વિવિધ કારણો છે.
શુ છે ભુવા પડવાના કારણ
1. ગટર, પાણી, ડ્રેનેજ સહિતની લાઇનોમાં જોડાણ બરાબર ન કરવા.
2. લાઈનો જૂની થતા ખવાઈ જતા ભુવો પડવો.
3. ચેમ્બરો અયોગ્ય રીતે બનાવવી.
4. લાઈનમાં ગેસ બહાર નીકળવા સ્પેશ ન રાખવી.
5. બિનધિકૃત લાઈનોના અયોગ્ય જોડાણ પણ જવાબદાર.
6. કેટલાક વિસ્તારમાં કેમિકલ વોટરના કારણે લાઈનો ખવાઈ જતા પણ ભુવો પડવાનું તારણ.
મુખ્ય આ મુદ્દા છે કે જેના કારણે શહેરમાં ભુવા પડે છે અને જો તેમ હોય તો તેના કારીગરો અને કોન્ટ્રાક્ટરની બેદરકારી છે. સાથે જ ટેન્ડર પાસ કરતા અને જવાબદાર અધિકારીની પણ તેટલી જ બેદરકારી છે કે જેમના દ્વારા કામ પાસ કરાય છે. પરંતુ ધ્યાન નહિ અપાતા આ પ્રકારની ઘટના બને છે.
શહેરમાં ચાલુ સિઝનમાં 20 થી વધારે ભુવા પડ્યા છે. જેમાં પૂર્વમાં CTM, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યારે પશ્ચિમમાં બોડકદેવ, નવરંગપુરા, ગોતામાં ભુવા પડ્યા છે તો સાથે દાણીલીમડામાં પણ ભુવા પડવાની ઘટના સામે આવી છે. કેટલાક સ્થળે તો વારંવાર એ જ સ્થળ પર ભુવા પડવાનું સામે આવ્યું છે. આમ એકંદરે શહેરમાં ભુવા જ ભુવા કહેવું હોય તો નવાઈ નહિ.
આ સમસ્યાને લઈ શહેરમાં ટ્રાફિક જામ અને દુઘટના સર્જાવાની લોકોને ભીતિ રહે છે, જે દૂર કરવી જરૂરી છે અને તેના માટે AMC દ્વારા યોગ્ય કામગીરી કરવી પણ જરૂરી છે. જેની બેદરકારી છે તેની સામે પગલાં લેવા પણ જરૂરી છે, જેથી લોકોની સમસ્યા દૂર કરી લોકોનો વિશ્વાસ જીતી ભીતિ દૂર કરી દુર્ઘટના થતા ટાળી શકાય છે. સાથે જ બેજવાબદાર સામે કાર્યવાહી કરતા તેને પણ શીખ મળે અને તે ફરી કામ કરે તો યોગ્ય કામગીરી કરે અને જો તે થાય તો જ શહેરમાં ભુવાનો સીલસીલો રોકી શકાશે.
ભુવા મામલે વિપક્ષે પણ AMC પર આક્ષેપ કર્યા છે. ભુવાના કારણે AMC ની તિજોરીને નુકશાન છે તેથી આ અંગે વધુ ધ્યાન આપવાની જરૂર છે. વોટર એન્ડ સુએજ કમિટી ચેરમેને યોગ્ય કામગીરી કરતા હોવાના દાવા કર્યા છે, તો સાથે જ કેટલાક સ્થળે બેદરકારીની પણ કબૂલાત કરી છે. પહેલા સોસાયટીઓની ગટરમાંથી ગેસ નીકળવાની લાઈનો રખાતી, જે હાઇરાઈઝ બિલ્ડીંગ બનતા પદ્ધતિ બંધ થતા સમસ્યા સર્જાતી હોવાનું નિવેદન આપ્યું છે.
તેમણે ગટરની ચેમ્બર અંદર અને બહાર પ્લાસ્ટર કરવા તેમજ જોઈન્ટ યોગ્ય કરવા ખાતરી આપી છે. લાઈનો જૂની થઈ હોવાથી અને કેમિકલના પાણી પણ ઉતરતા ભુવા પડવાના કારણો દર્શાવ્યા હતા. આ ઉપરાંત જે જવાબદાર હશે તેવા કોન્ટ્રાકટર સામે તપાસ કરી પગલા ભરવા વોટર એન્ડ સુએજ કમિટી ચેરમેને ખાતરી આપી છે.