Ahmedabad : શહેરના મોટાભાગના સેન્ટરો પર મર્યાદિત રસીનો સ્ટોક, રસીકરણ માટે વહેલી સવારથી લાગી લોકોની લાંબી લાઈન
પૂર્વ અમદાવાદના મોટાભાગના સેન્ટરો પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે, જેને કારણે મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના વેક્સિનેશન સેન્ટરમાં રસી લેવા માટે શહેરીજનો વહેલી સવારે 5 વાગ્યાથી લાઈન લગાવીને ઉભા રહે છે.
એક તરફ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તમામ વેપારીઓ માટે વેક્સિન (Vaccine) ફરજીયાત કરવામાં આવી છે, તો બીજી તરફ શહેરી વિસ્તારમાં વેક્સિન માટે ભારે હાડમારીનો સામનો શહેરીજનોને કરવો પડી રહ્યો છે. શહેરના મોટાભાગના સેન્ટરો પર ખૂબ જ મર્યાદિત રસીનો સ્ટોક આવતો હોવાને કારણે શહેરીજનોને રસીકરણ (Vaccination) સેન્ટરો પર વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે.
પૂર્વ અમદાવાદના મોટાભાગના સેન્ટરો પર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે, જેને કારણે મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના વેક્સિનેશન સેન્ટરમાં રસી લેવા માટે શહેરીજનો વહેલી સવારે 5 વાગ્યાથી લાઈન લગાવીને ઉભા રહે છે. જેમાં વૃદ્ધો, વડીલો, ગૃહિણીઓ તેમજ ધંધાદારી વર્ગો પણ હોય છે.
મણિનગરની આસપાસના વિસ્તારો ઘોડાસર, CTM, હાટકેશ્વર, ખોખરા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં ખૂબ મર્યાદિત વેક્સિનનો જથ્થો આવતો હોવાને કારણે આ વિસ્તારના સ્થાનિકો પણ મણિનગરના સ્વામિનારાયણ મંદિર સેન્ટર પર રસી લેવા ઉમટે છે. જેને કારણે વેક્સિન લેવા આવનાર શહેરીજનોને વહેલી સવારથી લાઈન લગાવવી પડે છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન બાબતે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિના અભાવના કારણે વેક્સિનેશન સેન્ટર ખાલીખમ હોય છે જેને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામજનો વેક્સિન લેવા આવે તે માટે વિવિધ પ્રલોભન તેમજ વિવિધ પ્રયોગ હાથ ધરાતા હોય છે. તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં શહેરીજનો વેક્સિન લેવા ઇચ્છી રહ્યા છે પરંતુ આવા શહેરીજનોને યોગ્ય વ્યવસ્થાના અભાવે અલગ અલગ વેકસીનેશન સેન્ટર પર ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે.
રાજ્ય સરકારની જાહેરાત બાદ તમામ વેક્સિનેશન સેન્ટર પણ હવે ઓફલાઇન વેકસીન જ આપવામાં આવે છે જેના માટે કોઈ પણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. ફક્ત વેક્સિનેશન સેન્ટર પણ પહોંચીને આધારકાર્ડ બતાવવાથી જ ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી દેવામાં આવે છે જેને કારણે મોટાભાગના સેન્ટરો પર ભારે ભીડ જોવા મળે છે.
કેટલાક શહેરીજનોનું માનવું છે કે ઓફલાઇન વેક્સિનેશનની સાથે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયેલા શહેરીજનોને પણ જો વેક્સિનેશન કરવામાં આવે તો મુખ્ય સેન્ટરો પર થતી ભીડ ઓછી કરી શકાય જેના માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશનને પણ મંજૂરી આપવી જરૂરી છે.