Ahmedabad: અખંડાનંદ આયુર્વેદ કૉલેજ વિવાદમાં, થિયરી માટે વિદ્યાર્થીઓને છેક ગાંધીનગર મોકલાતા રોષ
અમદાવાદના લાલ દરવાજા સ્થિત અખંડાનંદ આયુર્વેદ કૉલેજમાં ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે અમદાવાદ જાય છે. જ્યારે થિયરી માટે ફરજિયાત ગાંધીનગરના કોલાવડા જવું પડી રહ્યું છે.
અમદાવાદમાં (Ahmedabad) આવેલી સરકારી અખંડાનંદ આયુર્વેદ કૉલેજ (Ayurveda College) વિવાદમાં આવી છે. અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલી અખંડાનંદ કોલેજના વિદ્યાર્થીઓને થિયરી માટે છેક ગાંધીનગર (Gandhinagar) મોકલવામાં આવે છે. વારંવાર વિદ્યાર્થીઓએ આ અંગે તંત્રને રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી રહી છે. જેથી આખરે કંટાળેલા વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આ બાબતે ફરિયાદ કરી છે. જેને લઇને આ કોલેજ વિવાદમાં આવી છે.
આયુર્વેદના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને ફરિયાદ કરી
અમદાવાદના લાલ દરવાજા સ્થિત અખંડાનંદ આયુર્વેદ કૉલેજમાં ત્રીજા અને ચોથા વર્ષના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે અમદાવાદ જાય છે. જ્યારે થિયરી માટે ફરજિયાત ગાંધીનગરના કોલાવડા જવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓને થિયરી માટે દુર દુર જવુ પડતુ હોવાથી મુશ્કેલી પડી રહી છે. જેથી આ બાબતે વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી વારંવાર ફરિયાદો કરી છે, પણ મુશ્કેલીનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. જેથી હવે વિદ્યાર્થીઓએ અંતે વડાપ્રધાન સુધી ફરિયાદ કરી છે અને પોતાની પડતી હાલાકી વિશે જણાવ્યુ છે.
છેલ્લા એક મહિનાથી ગાંધીનગરના ધક્કા થતા વિદ્યાર્થીઓ પરેશાન
છેલ્લા એક મહિનાથી કૉલેજ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને ગાંધીનગરના ધક્કા કરવા પડી રહ્યા છે. પ્રેક્ટિકલ અને થિયરી બંનેના અભ્યાસ માટે અલગ અલગ સ્થળે જવાનું હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. જેથી વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે.
કૉલેજ જર્જરિત હોવાને કારણે વિદ્યાર્થીઓને મોકલાય છે ગાંધીનગર
અમદાવાદની અખંડાનંદ કૉલેજ જર્જરિત છે. જેથી તમામ વિદ્યાર્થીઓને ગાંધીનગરની કોલાવડા આયુર્વેદ કૉલેજમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. કોલાવડા કૉલેજમાં દરરોજ આશરે 10થી 15 દર્દી સારવાર લેવા આવે છે, જેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા 200ની આસપાસ છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિલ નોલેજ મેળવી શકતા નથી. વિદ્યાર્થીઓએ માગ કરી છે કે અખંડાનંદ કોલેજમાં દરરોજ આશરે 400થી વધુ દર્દીઓની ઓપીડી હોય છે તે હિસાબે જો સરકાર તેમના માટે અમદાવાદમાં જ થિયરી ક્લાસીસ શરૂ કરવા વ્યવસ્થા કરે તો તેમને દર્દીઓ તપાસવાનું પ્રેક્ટિકલ નોલેજ મળી શકે, જેથી તે સારા આયુર્વેદ ડૉક્ટર બની શકે.